સુરતઃ કોરોનાનો ચેપ લાગતાં સારવાર લઈ રહેલા જાણીતા ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત સારી છે અને તેમને એકાદ દિવસમાં હોસ્પિટલમાંથી રજા અપાય તેવી શક્યતા છે. જીજ્ઞેશ દાદાને  કોરોના થયો હોવાનો અને તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર આવતાં તેમના ચાહકોમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી પણ ત્રણ દિવસ પહેલાં તેમના ભાઈએ તેમના ચાહકો માટે રાહતના સમાચાર આપ્યા હતા કે,  ‘રાધે રાધે’ તરીકે જાણીતા જીજ્ઞેશ દાદાનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમની તબિયત સારી છે.


જીજ્ઞેશ દાદાના ભાઈ અને કથાનો વહિવટ સંભાળતા ભાર્ગવભાઈએ શુક્રવારે માહિતી આપતાં કહ્યું હતું કે, જીજ્ઞેશ દાદાની તબિયત ઘણી સારી છે અને  તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વહેલી તકે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે. ભાર્ગવભાઈએ જીજ્ઞેશ દાદા કઈ હોસ્પિટલમાં છે તે કહેવાનો ઈન્કાર કર્યો પણ  તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું કહ્યું હતું.


હાલમાં જીજ્ઞેશ દાદાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જીજ્ઞેશ દાદાને ઓક્સિજન પર રાખેલા જોઈ શકાય છે. તેમને વ્હિલચેર પર બેસાડી અન્ય જગ્યાએ લઈ જવામાં આવતાં હોવાનું જોઈ શકાય છે. જીજ્ઞેશ દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો વીડિયો અઠવાડિયા જૂનો છે.