સુરતઃ રાજ્યમાં કોરોના વાયરસે ઘાતક સ્વરૂપ ધારણ કરી લીધું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. તેમાં પણ ડાયમંડનગરી સુરત અને અમદાવાદની સ્થિતિ વધારે ખરાબ છે. આ બંને શહેરોમાં હોસ્પિટલો ફરીથી પેક થવા લાગી છે.


કોરોનાના સંક્રમણને ડામવા ટાસ્ક ફોર્સની રચના


સુરતમાં કોરોનાના કહેરને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. વેજીટેબલ માર્કેટ,સ્લમ વિસ્તાર, ટેકસટાઇલ, ડાયમંડ ઉદ્યોગમાં વધી રહેલા સંક્રમણને ડામવા આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. એસઓપીનું પાલન થાય તે માટે ટીમની રચના કરવામાં આવી છે. ટાસ્ક ફોર્સ માં સિનિયર કક્ષાના અધિકારીઓનો સમાવેશ કરાયો છે. APMC માર્કેટમાં જિલ્લા રજીસ્ટારને કામગીરી સોંપવામાં આવી છે, જ્યારે સ્લમ વિસ્તારમાં સ્લમ અપગ્રેડેશન સેલને જવાબદારી સોંપવામાં આવી છે.


મહારાષ્ટ્રથી આવેલા કેટલા મુસાફરોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ


આ દરમિયાન સુરતમાં મહારાષ્ટ્રથી આવતી બસોમાં ચેકિંગ સઘન બનાવાયું છે. જેમાં 1855 મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ થયું હતું. જેમાંથી 34 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.


શનિવારે સુરતમાં કેટલા નોંધાયા કેસ


શનિવારે સિટીમાં નોંધાયેલા રેકોર્ડબ્રેક 381 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 99, રાંદેરમાં 59 અને લિંબાયતમાં 54 કેસ છે. સિટીમાં કુલ કેસ 44,348 અને મૃત્યુઆંક 858 છે. ગ્રામ્યમાં નવા 103 કેસ સાથે કુલ કેસ 13,722, મૃત્યુઆંક 287 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 58,070 અને મૃત્યુઆંક 1145 છે. નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં આજે કોરોના પોઝિટિવ 98 દર્દી પૈકી 60 દર્દીની હાલત ગંભીર છે. જેમાં 2 વેન્ટીલેટર, 13 બાઈપેપ અને 45 ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 24 દર્દી પૈકી 17 દર્દી ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 9 બાઈપેપ અને 17ઓક્સિજન પર છે


સુરતમાં અઠવાડિયામાં કેટલા નોંધાયા કેસ


સુરત સિટીમાં છેલ્લા ચાર દિવસમાં જ 1369 કેસ નોંધાયા છે.


શનિવાર, 20 માર્ચે 381


શુક્રવાર,  19 માર્ચે 349


ગુરુવાર, 18 માર્ચે 324


બુધવાર, 17 માર્ચે 315


મંગળવાર, 16 માર્ચે 263


સોમવાર, 15 માર્ચે 240 કેસ નોંધાયા હતા.


ગુજરાતમાં કોરોનાનું શું છે ચિત્ર


રાજ્યમાં કોરોના  બેકાબૂ થયો છે. સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે રાજ્યમાં 1565  નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે. શનિવારે રાજ્યમાં 969  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,74,249 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.08  ટકા પર પહોંચ્યો છે. હાલ 6737  એક્ટિવ કેસ છે, જેમાંથી 69   લોકો વેન્ટિલેટર પર અને 6668 લોકો સ્ટેબલ છે.