સુરતઃ સુરતમાં હીરો ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોની હાલત ખરાબ થઈ ગઈ છે. હીરા ઓફિસો અને કારખાનાં માત્ર 4 કલાક માટે ચાલુ રાખવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશથી રત્નકલાકારોને કામ મેળવવાનાં પણ ફાંફાં થઈ ગયાં છે. આ કારણે હીરોની ઓફિસો તથા કારખાનાંનો સમય સમય સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધીનો કરવાની માંગ ઉઠી છે. સુરત ઉપરાંત અમદાવાદ, અમરેલી, ગારિયાધાર વિસ્તારના રત્નકલાકારો પણ બેકાર થયા છે તેથી સમગ્ર ગુજરાતમાં હીરો ઉદ્યોગમાં હાલત ખરાબ છે.


રત્નકલાકાર અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં કોરોનાનું સંક્રમણ વધતાં હાલમાં બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કારખાનાં અને બજારો ચાલુ રાખવાની પરવાનગીને પગલે હીરા પ્રોસેસિંગની કામગીરી ટલ્લે ચઢી છે. પરિણામે અમદાવાદ, અમરેલી અને ગારિયાધાર સહિતના વિસ્તારના રત્ન લાકારોને કામ મેળવવાનાં ફાંફાં પડી રહ્યાં હોવાથી સમયમાં ફેરફાર કરવામાં આવે એવી માગ ઉઠી છે.

હીરા ઉદ્યોગનાં સૂત્રોનું કહેવું છે કે. વાયરસના સંક્રમણને અટકાવવા માર્ચ માસમાં અમલમાં મૂકાયેલા લોક્ડાઉન બાદ આજ દિન સુધી હીરા ઉદ્યોગને પૂરતો વેપાર મળી શકયો નથી. અનલોક સાથે કારખાનાં અને બજાર શરૂ તો કરવામાં આવ્યા પરંતુ રત્નકલાકારો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય લોકો વાયરસથી સંક્રમિત થતાં 31 જુલાઈ સુધી વરાછાનું ચોક્સી અને મીની બજાર બંધ કરવામાં આવ્યું છે.

મનપાના આદેશ મુજબ હાલમાં હીરા બજાર અને કારખાનાઓ બપોરે 2 થી સાંજે 6 વાગ્યા એમ માત્ર 4 કલાક જ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. પરિણામે સુરત જ નહીં પરંતુ અમદાવાદ, અમરેલી, ગારિયાધાર સહિતના વિસ્તારના રત્નકલાકારોને કામ મેળવવા ફાંફા પડી રહ્યા છે. મનપાની પોલીસીમાં ફેરફાર કરી હીરા બજાર અને કારખાનાઓ શરૂ કરવા માટેના સમયમાં વધારો કરવા ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત ડાયમંડ એસોસિએશને મનપા કમિશનરને રજુઆત કરી છે.

આ અંગે ડાયમંડ એસોસિએશનના મહામંત્રી બાબુ વીડિઆએ જણાવ્યું હતું કે સુરતમાં ઘણા હીરા ઉદ્યોગકારો એવા છે કે જે રફ હીરાનું એસોર્ટિંગ કરી, લેસર કટિંગ કરી ફોર પીની પ્રક્રિયા માટે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં મોકલે છે. સુરતમાં માત્ર 4 કલાક બજાર અને કારખાનાઓ ખોલવાની મંજૂરીના કારણે સુરત સહિત રાજ્યના અન્ય શહેરોના લોકોને પણ કામ મળી શકતું નથી. જેથી સવારે 10થી સાંજે 6 વાગ્યાનો સમય કરવામાં આવે તો અટવાયેલા કામો પાર પડી શકે એમ છે.