સુરત: શહેરના રાંદેરમાં પ્રેમી યુવક તેની માતા તથા બહેનો વિરૂદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. સગાઈ બાદ યુવકે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધીને યુવકે અને તેના પરિવારે લગ્નનો ઈન્કાર કરી દેતાં યુવતીએ રાંદેર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, પીડિત યુવતીએ અયુબ હસન લાજપોરીયા, સારા, મુની અને ભૂરી વિરૂદ્ધ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ મુજબ, છેલ્લા સાત મહિનાથી અયુબ અને તેણીની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બંનેએ સગાઈ કરી હતી.

જોકે હસને યુવતીને લગ્ન કરવાનો વાયદો આપી અલગ-અલગ જગ્યાએ શારીરિક સંબંધો બાંધ્યાં હતાં. પરંતુ ત્યાર બાદ અયુબને તેની માતા તથા બહેનોએ લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી. જેને પગલે અયુબે યુવતીને લગ્નનો કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેણીને માર મારી ઘરમાંથી પણ કાઢી મૂકી હતી.

પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની લાગણી અનુભવતી પીડિતાએ રવિવારે રાંદેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ પીએસઆઈ વી. કે. પરમારને સોંપી છે.