સુરતઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા વધતી જાય છે ત્યારે બીજી તરફ કોરોનાવાયરસના દર્દીઓને પૂરતી સવલતો નહીં મળતી હોવાની ફરિયાદો પણ વધતી જાય છે. આ માહોલમાં સુરતમાં ફાઈવ સ્ટાર હોટલ કોરોનાવાયરસના દર્દીઓને ભોજન આપવા માટે આગળ આવી છે.


કોરોના પોઝિટિવ દર્દીઓને આજથી જમવાનું પૂરું પાડવાની જાહેરાત હોટલ મેરિયટ દ્વારા કરવામાં આવી છે. સુરતમાં કોરોનાવાયરસના ચેપ થયો હોય તેવા દર્દીઓની સંખ્યા મોટી છે. આ દર્દીઓને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રખાયા છે. જો કે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે યોગ્ય જમવાનું મળતું ન હોવાની ફરિયાદો ઉઠી હતી. કોરોનાવાયરસના દર્દીઓએ આ અંગે રજૂઆત કરી હતી. તેના પગલે હોટલ મેરિયટ દ્વારા ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે હોટલ મેરિયટ તરફથી કોઈ ચાર્જ વસૂલવામાં નહિ આવે. સુરત અમદાવાદ પછી કોરોનાવાયરસના ચેપના દર્દીઓની સંખ્યામાં ગુજરાતમાં બીજા સ્થાને છે. સુરતમાં કુલ 269 કેસો નોંધાયા છે અને 10 દર્દીનાં મોત થયાં છે.