સુરતઃ શહેરના પાંડેસરામાં હજુ બે મહિના પહેલા જ લગ્ન કરનાર પતિ-પત્નીએ વારાફરતી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પત્નીએ વતનમાં આપઘાત કરી લીધો હોવાની જાણકારી મળતાં જ પતિએ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા બંને વચ્ચે 40 મિનિટ ફોન પર વાત થઈ હતી. ત્યારે બંને વચ્ચે શું વાત થઈ હતી, તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છએ. પોલીસ તપાસ પછી સાચું કારણ સામે આવશે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, સુરતના પાંડેસરામાં છેલ્લા 6 વર્ષથી પ્રદીપ સાડીની દુકાનમાં કામ કરતો હતો. હજુ બે મહિના પહેલા જ 10 ડિસેમ્બરે તેણે રીતુ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી રીતુ વતન ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં પરિવાર સાથે રહેતી હતી. જ્યારે પ્રદીપ ગત 16મી જાન્યુઆરીએ સુરત પરત ફર્યો હતો.

ગઈ કાલે સવારે પ્રદીપે રીતુ સાથે લગભગ 40 મિનિટ ફોન પર વાત કરી હતી. આ પછી પ્રદીપને પત્નીએ આપઘાત કરી લીધો હોવાના સમાચાર મળ્યાના 2 કલાક પછી તેણે પણ આપઘાત કરી લીધો હતો. પ્રદીપે પોતાના હાથની નસ કાપીને આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.