સુરતઃ શહેરના નાનપુરા ખાતે આવેલા એપાર્ટમેન્ટના બાથરૂમમાંથી યુવક-યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ યુગલની હજુ 15 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. સગાઈ પછી છેલ્લા પાંચ દિવસથી યુવતી મંગેતરના ઘરે આવી હતી, ત્યારે બાથરૂમમાંથી બંનેની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. બંનેના મોતને પગલે પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, સુરતના કામરેજ ખાતે રહેતા અને મૂળ વલસાડની ધ્રુતિકુમારી જયેશભાઈ ટેલર (ઉં.વ.21) અને નાનપુરા ખાતે રહેતા અર્પિત નરેશભાઈ પટેલની 15 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. આ બંને યુવક-યુવતી મૂકબધીર હોવાનું જાણવા મળ્યું છે. આ યુગલના એપ્રિલમાં લગ્ન થવાના હતા. ત્યારે છેલ્લા પાંચ દિવસથી યુવતી ભાવિ પતિના ઘરે આવી હતી અને બંને ખૂબ જ ખુશ હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.

બંને સગાઈ પછી મૂકબધીર હોવાને કારણે એકબીજા સાથે કલાકો સુધી ચેટ કરતા હતા. ઘઈ કાલે સાંજે અર્પિતની બહેન ભાઈ-ભાભીને ન જતો બંનેની શોધખોળ કરી હતી. દરમિયાન બંનેની લાશ બાથરૂમમાંથી મળી આવી હતી. આથી 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ હતી. જોકે, બંનેના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં બાથરૂમમાં ગેસ ગીઝરનો ગેસ લીકેજ થવાથી ગુંગણામણથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યાંથી લાશ મળી તે બાથરૂમમાં નળ પણ ચાલું હતો અને દરવાજો પણ ખુલ્લો હતો.