Lok Sabha Election: લોકસભા ચૂંટણી ટાણે જ ભાજપમાં ફરી એકવાર ડખો જોવા મળ્યો છે. સુરત ભાજપમાં અંદરોઅંદર તકરાર થઇ રહી હોય તેવા એંધાણ મળી રહ્યાં છે. હાલમાં જ સુરતમાં એક જનસભા દરમિયાન વરાછાના ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા કિશોર કાનાણીની ગેરહાજરથી સમગ્ર પ્રકરણ ખુલ્લુ પડી ગયુ છે. તાજેતરમાં જ આપ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાતા ભાજપમાં ડખો શરૂ થયો છે. સભામાં હાજર ના રહેવા મુદ્દે કિશોર કાનાણીએ કહ્યું કે, હું મારા સિદ્ધાંતો નહીં છોડું, એટલે સભાથી દુર રહ્યો હતો. 


સુરત ભાજપ માટે હાલમાં જ એક આનંદના સમાચાર સામે આવ્યા હતા, સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટયા અને ભારતીય જનતા પાર્ટીને 2024 લોકસભા ચૂંટણી દરમિયાન પહેલા સાંસદ મળી ગયા, પરંતુ હવે સુરતમાં ભાજપમાં જ અંદરોઅંદર ડખો શરૂ થયો છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાતા ભાજપમાં નારાજગી દેખાઇ રહી છે. 


આ બન્ને આપ નેતાના ભાજપ પ્રવેશનાં કાર્યક્રમથી દરમિયાન વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી ગેરહાજર રહ્યાં હતા, તેમની ગેરહાજરીથી નવો ગણગણાટ શરૂ થયો છે. નારાજ થયેલા સ્થાનિક ધારાસભ્ય ભાજપના ભરતી મેળાથી અને સભાઓ દુર અને અળગા રહી રહ્યાં છે. જોકે, જ્યારે તેમને આ અંગે પુછવામાં આવ્યુ તો તેમને કહ્યું કે મારા સિદ્ધાંતોના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો છું. કિશોર કાનાણીએ જણાવ્યું કે, ચૂંટણી વખતે રાજકીય પક્ષો જે નિવેદનો આપે છે તેને લોકો યાદ રાખે છે. મેં પણ મારા નિવેદનો યાદ રાખ્યા છે. હું મારા સિદ્ધાંતો નહીં છોડું, પાર્ટીએ જે નિર્યણ કર્યો છે તે માન્ય છે. 


ગઇ વિધાનસભા ચૂંટણી વખતે સુરતની વરાછા બેઠક પર ભાજપના કિશોર કાનાણીની સામે આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા તેમની સામે મેદાનમાં ઉતર્યા હતા, જોકે, અલ્પેશની હાર થઇ હતી.


ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આપમાંથી રાજીનામુ આપી દીધુ હતુ અને ગઇ શનિવારે રાત્રે બન્ને નેતાઓ ભાજપમાં જોડાયા હતા, આ બન્ને નેતાઓ માટે ભરતી મેળા કાર્યક્રમનું આયોજન વરાછાના માનગઢ ચોકમાં કરવામા આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને સુરતના ધારાસભ્યો હાજર રહ્યાં હતા, પરંતુ કિશોક કાનાણી હાજર ન હતા રહ્યાં.