ભરુચઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના લોકો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ભરુચ જિલ્લામાં કોરોનાના ત્રણ દર્દીઓ આજે સ્વસ્થ થયા છે. આ સાથે ભરુચ કોરોનામુક્ત થઈ ગયો છે. અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ-19 હોસ્પિટલમાંથી 3 દર્દીને રજા આપવામાં આવી છે. તાળીઓના અભિવાદન સાથે દર્દીઓને ઘરે મોકલાયા છે.


નોંધનીય છે કે, ભરુચ જિલ્લામાં કુલ 27 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાંથી 2 દર્દીના મોત થયા છે, જ્યારે અન્ય તમામ 25 દર્દી સાજા થયા છે. હવે જિલ્લાનો કોઈ પણ કોરોના પોઝીટીવ વ્યક્તિ સારવાર હેઠળ નથી. અમદાવાદના 2 ટ્રક ચાલક જ સારવાર હેઠળ રહે છે. ગુજરાતમાં એક માત્ર અમરેલી જિલ્લો એવો છે, જ્યાં અત્યાર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત નર્મદા, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને સુરેન્દ્રનગર પછી ભરુચ જિલ્લાએ પણ કોરોનાને મ્હાત આપી છે. આમ, ગુજરાતમાં હાલ 7 જિલ્લા કોરોનામુક્ત થયા છે. હવે આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી.



આજે રજા આપવામાં આવેલ દર્દીના નામ

ફરહાના શેખ-ભરૂચ
અસફિયા શેખ-ભરૂચ
મોઇન સૈયદ-ભરૂચ

આ ઉપરાંત રાહતના સમાચાર એ છે કે, ગુજરાતના વધુ 10 જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ જિલ્લાઓની વાત કરીએ તો ડાંગમાં કોરોનાના બે કેસ નોંધાયા છે, જેમાંથી એક વ્યક્તિ સાજો થઈ ગયો છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે. તાપી જિલ્લામાં પણ બે કેસ છે, જેમાંથી એક કોરોનાને મ્હાત આપી છે. આ પછી કચ્છ જિલ્લામાં સાત કેસ છે, જેમાંથી એકનું મોત થયું છે અને 5 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે.

આવી જ રીતે વલસાડમાં 6 કેસ નોંધાયેલા છે, જેમાંથી એકનું મોત થયું છે અને 3 વ્યક્તિએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે હવે બે જ કેસ બાકી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાના બે જ કેસ નોંધાયેલા છે. તેમજ અન્ય કેસો સામે આવ્યા નથી. આવું દેવભૂમી દ્વારકામાં છે, જ્યાં 3 કેસો નોંધાયા છે. આ પછી નવા કેસ આવ્યા નથી. આમ, ગુજરાતમાં કચ્છ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દેવભૂમી દ્વારકા અને જૂનાગઢ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.



છોટાઉદેપુર જિલ્લામાં 14 કેસ નોંધાયા હતા, જેમાંથી 11 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે હવે ફક્ત 3 લોકો સારવાર હેઠળ છે. સાબરકાંઠામાં અત્યાર સુધીમાં 10 કેસ નોંધાયેલા છે, જેમાંથી બેનાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકો સાજા થયા છે. આમ, હવે પાંચ લોકો સારવાર હેઠળ રહ્યા છે. આવી જ રીતે જામનગરમાં પાંચ કેસો છે, જેમાંથી એકનું મોત થયું છે અને હવે ચાર લોકો સારવાર હેઠળ રહ્યા છે, ત્યારે એવી આશા છે કે, આ જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કેમકે, આ જિલ્લાઓમાં પાંચથી વધુ કેસો એક્ટિવ નથી.