અંકલેશ્વરઃ થોડીવારમાં અહેમદ પટેલની દફનવિધિ થશે. ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધિ કરવામાં આવશે. તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના માતાની કબરની બાજુમાં દફનવિધિ થશે. અહેમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સહિત અનેક મોટા નેતાઓ આવી પહોંચ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રદ્ધાંજલિ પુષ્પ મોકલ્યા છે.




દફનવિધિમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, તુષાર ચૌધરી પણ આવી પહોંચ્યા છે.

અહેમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, અધિરંજન ચૌધરી, ડી કે શિવકુમાર, અર્જુન મોઢવાડિયા, મુકુલ વાસનિક પહોંચ્યા છે. મધુસૂદન મિસ્ત્રી, રાહુલ ગુપ્તા પણ પહોંચ્યા છે. આ સિવાય પણ અનેક દિગ્ગજ નેતાઓ દફનવિધિમાં પહોંચ્યા છે.