સુરતઃ અમદાવાદ પછી હવે સુરત રાજ્યમાં કોરોનાના નવા એપીસેન્ટર તરીકે ઉભર્યું છે. સુરતમાં કોરોનાના કારણે સોમવારે મોડી સાંજે વધુ 10 દર્દીઓનાં મોત થતાં લોકોમાં ફફડાટ વધ્યો છે. સાંજે નોંધાયેલાં 10 મોત સાથે સુરતમાં કોરોનાથી એક જ દિવસમાં કુલ 16નાં મોત થયાં છે.


સોમવારે કોરોનાના કારણે થયેલાં 16 મોત સાથે  સુરત શહેર અને સુરત જિલ્લામાં કુલ 355 લોકોનાં મોત થયાં છે. આ પૈકી સુરત શહેરમાં  મોતનો આંકડો  317 છે જ્યારે  સુરત જિલ્લામાં કોરોનાના કારણે  મોતનો આંકડો 38 થયો છે. આમ કોરોનાના કારણે  કુલ મોત  355 થયાં છે.

દરમિયાનમાં સુરતમાં કોરોનાના વધતા કેસોને અનુલક્ષીને સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધી પાનીએ  અપીલ કરી છે કે, કોરોનાથી રક્ષણ મેળવવા પલ્સ ઓક્સિમીટર વસાવો. કમિશ્નરે ડાયમંડ,ટેક્સટાઇલ,સમાજીક સંસ્થાઓ તેમજ ઉદ્યોગિક ક્ષેત્રના લોકો ને અપીલ કરીને કહ્યું છે કે, પલ્સ ઓક્સિમીટર પર 94થી ઓછું ઓક્સિજન લેવલ આવે તો તરત હોસ્પિટલમાં ભરતી કરો.  તેમણે કહ્યું કે, ભૂતકાળમાં તંત્ર દ્વારા લોકોને શરીરમાં ઓક્સિજનની કમીના કારણે હોસ્પિટલ રીફર કરવા સૂચના આપી હતી છતાં જે લોકો હોસ્પિટલ ગયા નથી તેવા લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત તેમણે લોકોને ભીડભાડવાળી જગ્યાથી દૂર રહેવાની અપીલ કરી છે.