સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ પછી સુરતમાં કોરોનાનો કહેર સૌથી વધુ છે, ત્યારે સુરતમાં એક જ દિવસમાં 37 રત્નકલાકોરોને કોરોનાનો ચેપ લાગતાં હીરા ઉદ્યોગ ચિંતામાં પડી ગયો છે. છેલ્લા 21 દિવસમાં સુરતમાં 250થી વધુ રત્નકલાકારો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ત્યારે હીરા ઉદ્યોગ પર કોરોનાના કહેરને લઈ મેરેથોન ચર્ચા શરૂ થઈ છે.


આ બધાની વચ્ચે સુરતના મ્યુનિસિપલ કમિશ્રર બંછાનિધિ પાનીએ સૂચન કર્યું છે કે, કોરોનાના કારણે હીરા ઉદ્યોગ બંધ રહે તો આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય નહીં રહે. કોરોના સંક્રમણ કેવી રીતે ઘટે એ અંગે ચર્ચા કરવી જોઇએ. કમિશનર દ્વારા કેટલીક જાણકારી આપવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં પોઝિટવ આવે તો એ યુનિટનો વિભાગ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત હીરાના કારખાનાની કેન્ટીનમાં જમવાનું ન આપવામાં આવે તેમ પણ જણાવાયું છે. એટલું જ નહીં, શિફ્ટમાં કામકાજ કરવા પણ કમિશ્નર દ્વારા અપીલ કરવામાં આવી છે. હીરા ઉદ્યોગને બે કે ત્રણ શિફ્ટમાં ચાલુ રાખવા સૂચન અપાયું છે. કોરોનાનું સંક્રમણ ન થાય તે અંગે કમિશ્નરે સલાહ-સુચન આપ્યા છે.