સુરતઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાનું સંક્રમણ વધતા સરકાર હરકતમાં આવી ગઈ છે. અમદાવાદ શહેરમાં 60 દિવસનો કર્ફ્યૂ લગાવી દીધા પછી સુરત, રાજકોટ અને વડોદરામાં આજથી નાઇટ કર્ફ્યૂ લગાવી દીધો છે. ત્યારે સુરત મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સુરતમાં અત્યારે કોરોનાની સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. અત્યારે તકેદારીના ભાગરૂપે અત્યારે સુરતમાં રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. સુરતમાં સર્વેલન્સની એક્ટિવિટી સઘન કરી દેવામાં આવી છે. સુરતના ટોલનાકા પર બહારથી આવતાં લોકોનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. શહેરમાં સોસાયટીના પ્રમુખોને પણ બહારથી આવતાં લોકોના ટેસ્ટિંગ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. માસ્ક ન પહેરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાનના ગલ્લા-ચાની કિટલી પર ભેગા થતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતમાં જે લોકો કોરોના પોઝિટિવ આવેલા છે, તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના આપણે પ્રો-એક્ટિવલી ટેસ્ટિંગ કરીએ છીએ.


તેમણે ઉમેર્યું હતું કે, ડુમ્મસ અને સુવાલી બીચ પર લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા હોવાથી આ બંને બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. કેટલાક રેસ્ટોરન્ટ પણ કોવિડના નિયમોનો ભંગ થતો હોવાથી સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ મોર્નિંગ વોક અને સાયકલિંગ માટે જે લોકો જાય છે, એ લોકોને પણ સમજાવવાની કામગીરી સુરત મનપા દ્વારા કરવામાં આવી છે.

રાત્રી કર્ફ્યૂને લઈને તેમણે કહ્યું હતું કે, સુરતના લોકોને પેનિક થવાની જરૂર નથી. આપણી પાસે તમામ વ્યવસ્થા છે. સુરતમાં દિવસનો કર્ફ્યૂ હાલમાં લાદવાના નથી. લગ્ન પ્રસંગમાં ઓછામાં ઓછા લોકોને બોલાવીને સામાજિક પ્રસંગ ઉકેલે. રાત્રી કર્ફ્યૂ દરમિયાન કોઈને પણ મેડિકલ ઇમરજન્સી હોય, તો 104માં કોલ કરીને સુવિધા મેળવી શકે છે. એમ્બ્યુલન્સ અને અન્ય તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.