સુરતઃ શહેરના પીપલોદ સ્થિત ઓયો હોટલના રૂમમાંથી બેભાન હાલતમાં મળી આવેલી યુવતીનું રહસ્યમય રીતે મોત થઈ જતાં ચકચાર મચી ગઈ  હતી. પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગયેલી યુવતીનું રહસ્યમય રીતે મોત થયુ હતું. જોકે, યુવતીનું કેવી રીતે મોત થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી બહાર આવી શકે છે.


આ અંગેની વિગતો એવી છે કે, કતારગામની ગોપીનાથ સોસાયટીમાં રહેતી તન્વી દિલીપભાઈ ભાદાણી(ઉં.વ.22)ને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગ સંકળાયેલી યુવતીના પ્રેમસંબંધ અંગે તેના પરિવારને પણ જાણ હતી. ત્યારે નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદની ઓયો હોટલમાં ગયા હતા.

22 વર્ષીય તન્વીના રહસ્યમય મોત મુદ્દે પ્રેમી પંકજ ગોહિલે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરતાં જણાવ્યું હતું કે, કાલે રાતે અમે હોટલમાં ગયા હતા. અમે અહીં કેક કાપી હતી. રાતે બાર-સાડા બારે વાત કરતા કરતા સૂઈ ગયા હતા. સવારે તન્વીને જગાડી તો જાગી નહીં. મેં સીધું તેના મમ્મી-પપ્પાને ઇન્ફોર્મ કર્યું . પછી અમે તેને સિવિલમાં લઈને આવ્યા. સવારે તેને ઉઠાડવાના ખૂબ જ પ્રયાસ કર્યા. તેને પાણી પણ છાંટ્યું, પણ ઉઠી નહીં.

અહીં હોટલ ઓયોના ચોથા માળે 410 નંબરના રૂમમાં સૂતા પછી તન્વી ન ઉઠતા પ્રેમી પંકજ તેને હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, અહીં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. દીકરીના અચાનક મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. પ્રેમી પંકજ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો છે.

મૃતક તન્વીના પિતા દિલીપભાઈ ભાદાણી ડાયમંડ પાર્ટ્સની દુકાન ચલાવે છે. તન્વી પરિવારની એકની એક દીકરી હતી. તન્વી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી, જેથી તે હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વીના રહસ્યમય મોતને લઈને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જોકે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.