સુરત:  શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક વખત સવાલો ઉઠી ચૂક્યા છે. લુખ્ખા તત્વો અનેકવાર સામાન્ય લોકો સાથે મારામારી કરી શહેરમાં ડરનો માહોલ ઉભો કરતા રહે છે.આવી જ રીતે શહેરના અમરોલી વિસ્તારમાં માથાભારે લાલુ જાલિમ ગેંગનો આતંક પણ ચરમચસીમાએ પહોંચ્યો છે. જેને લઈને સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. માથાભારે લાલુ ઝાલીમનો રાઈટ હેન્ડ નિકુંજ લોકોને હેરાન પરેશાન કરતો હોવાનો લોકોએ આરોપ લગાવ્યો હતો.


મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ એક્શનમાં આવી હતી અને આજે માથાભારે લાલુ જાલીમ ગેંગના સભ્યોનું સરઘસ કાઢવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સુરતના અમરોલીમાં વિસ્તારમાં લાલુ જાલીમ ગેંગનો આતંક ખુબ વધી ગયો હતો. લોકોમાંથી જાલિમ ગેંગનો ખોફ કાઢવા નિકુંજ ચૌહાણ સહિત 5 ઇસમોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસે લાલુ જાલિમ અને નિકુંજ ચૌહાણ પર ગુજસીટોક ગુનો દાખલ કરાયો હતો.


 



લાલુ જાલિમ અને નિકુંજ ચૌહાણ જેલમાં બંદ હતા. નિકુંજ ચૌહાણ જામીન ઉપર બહાર આવ્યો હતો. બે દિવસ પહેલા એક સોસાયટીના પ્રમુખ બનવા બાબતે ઝઘડો થયો હતો. લાલુ જાલીન ગેંગના માણસો જયરામ રબારીના સમર્થનમાં સોસાયટીમાં હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા. લાલુ જાલીન ગેંગના માણસોએ બે લોકો પર હથિયાર વડે હુમલો કર્યો હતો. સોસાયટીમાં આતંક મચાવી ફરાર થઈ ગયા હતા. જે બાદ અમરોલી પોલીસે લાલુ જાલીમ ગેંગના નિકુંજ ચૌહાણ અને તેના અન્ય સાગરિકોની ધરપકડ કરી હતી.


લાલુ ઝાલીમ ગેંગના સભ્યો દ્વારા સ્ટાર ગેલેક્સીના રહીશો પર હુમલો કર્યા હોવાનો આરોપ લાગ્યો હતો. લાલુ ઝાલીમ ગુજસીટોકમાં જેલમાં બંધ છે.તેમ છતા જે ત્યાં બેસીને ગેંગ ઓપરેટ કરી રહ્યો છે.  તેના સાગરીતો બહાર કોહરામ મચાવી રહ્યા છે. હાલમાં અમરોલી સ્થિત સ્ટાર ગેલક્સીના રહીશોમાં ભયનો માહોલ છે. તો બીજી તરફ PSI એમજી રાઠોડ યોગ્ય કાર્યવાહી નહિ કરતા હોવાનો પણ ગંભીર આરોપ લાગ્યો છે. PSI રાઠોડ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજવે છે. PSI અને આરોપી નિકુંજના સંબંધ સારા હોવાનો આરોપ લાગ્યો છે.




સોસાયટીના લોકો સીપી ઓફીસે પહોંચ્યા હતા


માથાભારે નિકુંજ ગુજસીટોકના કેસમાં જામીન પર બહાર આવ્યા બાદ લોકોને હેરાન કરવા લાગ્યો હતો. નિકુંજના જામીન કેન્સલ કરવાની માંગ લોકો દ્વારા કરાઈ છે. જેને લઈને મોટી સંખ્યામાં લોકો સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. આ ઉપરાંત ગૃહમંત્રીને પણ રજુવાત કરવા વાત સ્થાનિકોએ કરી હતી. આ અંગેનો અહેવાલ ABP અસ્મિતાએ ગઈકાલે પ્રગટ કર્યો હતો. જે બાદ આજે આ તમામ લોકો સામે પોલીસે લાલ આંખ કરી તેમનું સરઘસ કાઢ્યું હતું.