જૂનાગઢના માણાવદર બાદ હવે સુરત ખાતે બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો છે. બારડોલીના મઢી ખાતે મળેલા મૃત કાગડાનો બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મઢી ખાતે પાંચ દિવસ પૂર્વે પાંચ જેટલા કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતાં. જેથી પશુપાલન વિભાગે મૃત કાગડાઓના સેમ્પલ લઈ પરીક્ષણ માટે ભોપાલ સ્થિત લેબોરેટરી ખાતે મોકલ્યા હતાં.


ભોપાલથી કાગડાનો બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બર્ડ ફ્લૂ વાયરસની પુષ્ટિ થતા ઘટનાસ્થળથી 1 કિમીની ત્રિજિયામાં જરૂરત સિવાય જવા પર રોક લગાવી દેવામાં આવી છે. તો આજથી 10 કિલોમીટરની ત્રિજીયામાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બર્ડ ફ્લૂનો કેસ નોંધાતા પશુપાલન વિભાગ દોડતો થઈ ગયો છે.

રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાતમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાય ચૂક્યાં છે. આ બીમારી એન્ફ્લૂએન્જા એ- H5N1 વાયરસના કારણે ફેલાય છે. Whoના રિપોર્ટ મુજબ H5N1 વાયરસ સંક્રમણમાં મૃત્યુ દર 60 ટકા છે. આ બીમારીનો મોર્ટાલિટી રેટ કોરોનાથી પણ વધુ છે.

પક્ષીઓથી દૂર રહેવું

H5N1 વાયરસથી બચવા માટે આપણે સીધા જ પક્ષીના સંપર્કમાં આવવાથી બચવું જોઇએ. ડોમેસ્ટિક પોલ્ટ્રી ફાર્મના પક્ષીઓના સંક્રમિત બાદ આ વાયરસ મનુષ્યમાં ફેલાવવાની શક્યતા રહે છે. પક્ષીના મળ, સ્ત્રાવના કારણે આ વાયરસ ફેલાઇ છે.

સ્વચ્છતાનું ધ્યાન રાખો

છત પર રાખેલી ટાંકી, રેલિંગ પાંજરાને સારી રીતે ડિટર્જન્ટથી સાફ કરો. પક્ષીના મળ અને તેના પીંછાને પણ સાવધાની પૂર્વક સાફ કરો. પક્ષીઓને ક્યારેય ખુલ્લા હાથ ન પકડો. પક્ષીથી નિશ્ચિત અંતર બનાવીને રાખો. H5N1થી સંક્રમિત પક્ષી લગભગ 10 દિવસમાં મળ, લાળ દ્રારા વાયરસ રિલીઝ કરી શકે છે.

સારી રીતે પકાવીને માંસનું સેવન કરવું

ચિકનને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર પકાવવો. કાચુ માંસ કે ઇંડા ખાવાની ભૂલ ન કરો. હેલ્થ એક્સપર્ટના મત મુજબ આ વાયરસ તાપ પ્રત્યે અતિ સંવેદનશીલ છે. જે કુકીંગ ટેમ્પરેચરમાં નષ્ટ થઇ જાય છે. કાચું માંસ અને ઇંડાને અન્ય ફૂડથી દૂર રાખો.

પોલ્ટ્રી ફાર્મ વિસ્તારથી દૂર રહેવું

પોલ્ટ્રી ફાર્મ વિસ્તારથી દૂર રહેવું જોઇએ.આ ફાર્મમાં કામ કરતા લોકોનો સંપર્ક ટાળવો. હાઇજિન અને હેન્ડવોશ જેવી તમામ બાબતોનું ચુસ્તતાથી પાલન કરો. સંક્રમિત વ્યક્તિથી નિશ્ચિત અંતર બનાવીને રાખવું.