સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રીય થઈ ગઈ છે. એક પછી એક મોટા નેતાઓ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ગઈ કાલે પાટીદાર નેતા મહેશ સવાણી આપમાં જોડાયા હતા. તેઓ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા હતા. ત્યારે હવે એક યુવા આંદોલનકારી આપમાં જોડાવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. આ નેતાએ ગઈ કાલે સુરતમાં સિસોદિયા સાથે મુલાકાત કર્યા પછી આ ચર્ચાએ જોર પકડ્યું છે. 


જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ અને આંદોલનકારી પ્રવીણ રામે ગઈ કાલે મનિષ સિસોદિયા સાથે મુલાકાત કરી હતી. પ્રવીણ રામે તેમના સોશિયલ મીડિયા પેજ પર આ અંગે જાતે માહિતી આપી છે અને તેમની સાથેની તસવીરો પણ શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે, આજ રોજ સુરત ખાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ ક્રાંતિના જનક મનીષ સિસોદિયાજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી. માનનીય કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હી સરકારમાં પ્રજાહિત માટે ચાલતા કાર્યોની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી. દિલ્હી સરકારના પ્રજાહિત માટેના કાર્યો તેમજ માનનીય અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાજીના પ્રજાહિત માટેના વિચારો જાણીને ખુબ જ આનંદ થયો. આ મિટિંગમાં ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ, આપ નેતા ઇસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને અન્ય જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા.


આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સોમનાથ મંદિરની બહાર ધક્કે ચડાવ્યાનો મામલો સામે આવ્યો છે. ગોપાલ ઇટાલિયા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચ્યા છે. ભાજપ પ્રેરીત લોકોએ હુમલો કર્યાનો ગોપાલ ઇટાલિયાનો દાવો છે. 


આપના ઇસુદાન અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને  પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિંદુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. મંદિર પરિસરમાં ગોપાલ ઈટાલિયા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


Surat Politics : આપના કયા ટોચના નેતાએ બીજેપીને ભાજપ ઝઘડા પાર્ટી ગણાવી ?









ભાજપ બધા સાથે લડે છેઃ મનીષ સિસોદીયા


પ્રેસ કોન્ફરન્સમાં મનીષ સિસોદીયાએ કહ્યું, સીએમ કોણ હશે તે ચૂંટણી સમયે જોવાશે. અમારા નગરસેવકોએ ખૂબ સારું કામ કર્યું છે. હજુ અનેક લોકો ભાજપ છોડી આપમાં જોડાશે. તેમણે એમ પણ કહ્યું કે, બીજેપી એટલે ભાજપ ઝઘડા પાર્ટી. ભાજપ બધા સાથે લડે છે, ભાજપ શિક્ષણ સમિતિની લૂંટ ચલાવવા માંગે છે.


આપમાં જોડાયા બાદ શું બોલ્યા મહેશ સવાણી


આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ મહેશ સવાણીએ કહ્યું, મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું છે. એક 80 વર્ષ નું ઘર(કોંગ્રેસ),એક 25 વર્ષ નું એલિવેશન વાળું ઘર (ભાજપ) અને ખુલ્લો પ્લોટ (આપ) છે. હું ખુલ્લો પ્લોટ પસંદ કરું છે. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું છે પણ મેં નક્કી કર્યું છે. મારે જેલમાં જવું પડશે, બહુ બહુ તો ગોળી મારી દેશે. મને નાના વર્ગની પીડા ખબર છે. સમાજના કામ કરવામાં પણ રાજકારણ આવે છે. કોવિડ સેન્ટરો મુદ્દે પણ આવું રાજકારણ યોગ્ય નથી. હું દિલ્હી ગયો હતો ત્યાં મેં સરકારી સ્કૂલો જોઈ હતી, ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી સ્કૂલો છે.  લોકોને ખૂબ આર્થિક નુકસાન થયું છે, લોકો કોરોનામાં રઝળી રહ્યા હતાં. આ વાત કરતાં તેમની આંખમાં આંસુ આવી ગયા હતા.


મહેશ સવાણી બિઝનેસમેન હોવાની સાથે સાથે અનાથ દીકરીઓના લગ્ન કરાવવા માટે પણ રાજ્યભરમાં જાણીતા છે. આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની સાથે કેટલાક વિવાદ પણ સંકળાયેલા છે. વર્ષ 2020માં બિલ્ડરનું અપહરણ કરવા મામલે તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.