હાલોલઃ વડોદરા-હાલોલ રોડ પર આવેલી અનુપમ સોસાયટીના બંધ મકાનમાંથી યુવતીની હત્યા કરાયેલી હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવેલી લાશ મુદ્દે ચોંકવાનારો ખુલાસો થયો છે. યુવતીની હત્યા તેના જ પતિએ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એલસીબીએ હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે. પતિએ પત્નીના લગ્નેત્તર સંબંધમાં હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે.


આ અંગેની વિગતો એવી છે કે, પાંચ દિવસ પહેલા મૂળ ઝાંખરીયા ગામની વતની અને છેલ્લા પાંચ વર્ષથી ભાડેથી મકાન રાખીને રહેતી ચંચિબેન રાઠવા નામની 35થી 40 વર્ષની યુવતીની ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. અંદાજે એક મહિના ઉપરાંતથી યુવતીની કોઈ અવરજવર ના જણાતા અને પુત્રને જાણ થતાં પુત્ર દ્વારા મકાન નું તાળું તોડવામાં આવતા મકાનમાંથી હાથપગ બાંધેલ હાલતમાં દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. મહિલાની ક્રૂર રીતે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસે યુવતીના પતિ કાળુભાઈ રાઠવાની પૂછપરછ કરતાં તેણે પત્ની ચંચિબેનને વડાતલાવના સરતાનભાઇ વેચાતભાઇ બારીયા સાથે આડાસંબંધ હતા. આ અંગે પતિને ખબર પડી જતાં એક મહિના પહેલા પત્ની જ્યાં રહેતી હતી ત્યાં જઈને રાત્રીના સમયે પાવડો મારીને હત્યા કરી નાંખી હતી. ગોધરા એલસીબીએ ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલીને આરોપી પતિને જેલ હવાલે કરી દીધો છે.