વડોદરાઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. સાવલીના માજી ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણના 37 વર્ષીય પુત્રનું કોરોનામાં નિધન થયું છે. ચંદ્રજીતસિંહ ખુમાનસિંહનું નિધન થયું છે. પાંચ દિવસ અગાઉ પિતા પુત્ર કોરોના સંક્રમિત થયા હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.


ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા કોરોના પોઝિટિવ આવ્યા છે. અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવશે. આર.ટી.પી.સી.આર. રિપોર્ટ પોઝિટિવ આવતા સંપર્કમાં આવેલા લોકોમાં ચિંતા વધી છે. 


ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં ભાજપના વધુ એક નેતાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુરત ભાજપના ખજાનચી પ્રવીણ માળી(Pravin Mali) નું કોરોનાથી અવસાન થયું હતું. ભાજપના નેતાના અવસાનથી તેમના પરિવાર અને કાર્યકરોમાં શોકની લાગણી ફરી વળી છે. 


 


આ અગાઉ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભાજપના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અને પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મુનાફ માસ્તર (Munaf Mastar)નું નિધન થયું છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર હેઠળ હતા મુનાફ માસ્તર. આજે બપોરે  અંતિમ શ્વાસ લીધા હતા.ગણદેવી તાલુકામાં સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખાતા હતા મુનાફ માસ્તર.


 


બે દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં ભાજપના નેતાનું કોરોનાથી મોત થતાં પરિવાર અને સમર્થકોમાં શોકની લાગણી ફરી વળી છે. મળતી વિગતો પ્રમાણે,  લીંબડી નગરપાલિકાના ભાજપના સદસ્યનું કોરોનાથી મોત નિપજ્યું છે.  તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થયેલ વોર્ડ નંબર - ૫ ના  ડાયાભાઇ ખાંદલાનું કોરોનાથી મોત નીપજ્યું છે. ડાયાભાઈ થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવતા લીંબડી કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હતા. સારવાર દરમિયાન લીંબડી નગરપાલિકાના સદસ્યનું નિધન થયું છે. 


 


આ પહેલા તાપીમાં વાલોડ (Valod) તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વાલોડ ગામના સરપંચ નિધન થયું હતું. કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાલોડના સરપંચ જ્યોતિબેન નાયકા (Jyotiben Nayaka)નું સારવાર દરમ્યાન નિધન થતાં તાપી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં શોકની લાગણી ફરી વળી છે. 


 



અગાઉ તાપીમાં ભાજપના નેતા (BJP leader)નું કોરોના પોઝિટિવ આવ્યા પછી સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ઉચ્છલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રીનું બારડોલી(Bardoli) ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. મહામંત્રી મોહનભાઇ ગામીત (Mohanbhai Gamit)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર અર્થે ખસેડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખે કોરોનાથી મૃત્યુ થયું હોવાની વાતની પુષ્ટિ કરી છે.