વડોદરાઃ શહેરના નાગરવાડાની 23 વર્ષીય બ્રાહ્મણ યુવતીનું મુંબઇમાં ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરાવાતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ ચકચારી પ્રકરણ સામે આવતાં વડોદરાના અગ્રણીઓએ પણ ભારે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ મુસ્લિમ યુવક અને બ્રાહ્મણ યુવતીના નિકાહ પછી બંનેને પોતપોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે યુવતીને સ્થાનિક નેતાઓએ સમજાવવાનો પ્રયાસો શરૂ કરી દીધા છે. આ ઘટનાના ખૂબ જ ઘેરાપ્રત્યાઘાતો પડી રહ્યા છે અને હિન્દુ સંગઠનો પણ વિરોધ કરવા સાથે મેદાનમાં આવી ગયાં છે.


એક જાણીતા અખબારના અહેવાલ પ્રમાણે, બ્રાહ્મણ યુવતી અને અયાઝ 6 વર્ષ પહેલા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. મિત્રો દ્વારા બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ પરિચય પ્રેમમાં ફેરવાયો હતો. આ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. લગ્ન માટે યુવક પાંચ દિવસ પહેલા યુવતીને મુંબઈ લઈ ગયો હતો. અહીં તેણે યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ પછી યુવતી ગત બુધવારે વડોદરા આવી હતી.

ગઈ કાલે ગુરુવારે સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સીમાબેન મોહિલે, ભાજપ શહેર પ્રમુખ ડો. વિજય શાહ તેમજ હિંદુ સંગઠનોના આગેવાનો યુવતીને મળ્યા હતા અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હુતં કે, બંનેને પોતપોતાના પરિવાર સાથે અલગ અલગ સ્થળે રાખવામાં આવ્યા છે. તેમનું કાઉન્સેલિંગ કરાઈ રહ્યું છે. જોકે, બંને પુખ્ત વયના હોવાથી છેલ્લો નિર્ણય તેમના પર છોડી દેવાયો છે. મામલો શાંત પડ્યા પછી બંનેને પોલીસ સ્ટેશને બોલાવી ફરીથી પૂછપરછ કરાશે, તેમજ એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરાશે.