છોટાઉદેપુરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે લોકો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. આજે છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક વ્યક્તિએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. છોટાઉદેપુરની મેડીટોપ ખાતેની કોવિડ19 હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. ડોક્ટર અને સ્ટાફે તાળીઓથી વિદાય આપી છે. જિલ્લામાં કોરોનાના કુલ 14માંથી 13 સાજા થઈ ઘરે પરત ફર્યા છે. હવે સંક્રમિત થયેલ એકમાત્ર યુવાન સારવાર હેઠળ છે.


ગુજરાતમાં હાલ અમરેલી સંપૂર્ણ કોરોનામુક્ત છે. તેમજ નર્મદા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને ભરુચ જિલ્લાએ કોરોનાને મ્હાત આપી છે. આમ, ગુજરાતમાં હાલ 6 જિલ્લા કોરોનામુક્ત છે. હવે આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી. ત્યારે હવે છોટાઉદેપુર પણ કોરોનામુક્ત થવા તરફ છે.



આ ઉપરાંત રાહતના સમાચાર એ છે કે, ગુજરાતના વધુ 11 જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ જિલ્લાઓની વાત કરીએ તો ડાંગમાં કોરોનાના બે કેસ નોંધાયા છે, જેમાંથી એક વ્યક્તિ સાજો થઈ ગયો છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે. તાપી જિલ્લામાં પણ બે કેસ છે, જેમાંથી એક કોરોનાને મ્હાત આપી છે. આ પછી કચ્છ જિલ્લામાં સાત કેસ છે, જેમાંથી એકનું મોત થયું છે અને 5 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે. ગીર સોમનાથ જિલ્લામાં એક જ કેસ છે. અગાઉ આ જિલ્લો કોરોનામુક્ત થયો હતો, પરંતુ ફરીથી એક કેસ નોંધાયો છે. જોકે, આ વ્યક્તિ ક્વોરેન્ટાઇનમાં હોઇ ચેપ ફેલાવાની શક્યા ખૂબ નહીવત છે.

આવી જ રીતે વલસાડમાં 6 કેસ નોંધાયેલા છે, જેમાંથી એકનું મોત થયું છે અને 3 વ્યક્તિએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે હવે બે જ કેસ બાકી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાના બે જ કેસ નોંધાયેલા છે. તેમજ અન્ય કેસો સામે આવ્યા નથી. આવું દેવભૂમી દ્વારકામાં છે, જ્યાં 4 કેસો નોંધાયા છે. ગઈ કાલે એક કેસ નોંધાતા ચાર થયા છે. નવસારી જિલ્લામાં 8 કેસો નોંધાયા હતા, જેમાંથી 4 લોકો સાજા થઈ ગયા છે.



સાબરકાંઠામાં અત્યાર સુધીમાં 10 કેસ નોંધાયેલા છે, જેમાંથી બેનાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકો સાજા થયા છે. આમ, હવે પાંચ લોકો સારવાર હેઠળ રહ્યા છે. આવી જ રીતે પાટણમાં 24 કેસો છે, જેમાંથી એકનું મોત થયું છે, જ્યારે 18 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને હવે પાંચ લોકો સારવાર હેઠળ રહ્યા છે, ત્યારે એવી આશા છે કે, આ જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કેમકે, આ જિલ્લાઓમાં પાંચથી વધુ કેસો એક્ટિવ નથી.

આમ, ગુજરાતમાં કચ્છ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દેવભૂમી દ્વારકા, પાટણ, છોટાઉદેપુર, સાબરકાંઠા અને જૂનાગઢ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.