Vadodara : વડોદરા નવલખી મેદાન ખાતે હિન્દૂ દેવતાઓની મૂર્તિ ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવતા હિન્દૂ સંગઠનોમાં રોષ ફેલાયો છે. નવલખી મેદાન ખાતે અવાવરુ જગ્યાએ ભાથીજી મહારાજ અને હનુમાનજીની મૂર્તિ ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવી છે.  હિન્દૂ  સંગઠનો અને રાજકીય પક્ષોનો આક્ષેપ છે કે આ મૂર્તિઓ ઓલ્ડ પાદરા રોડ પર તોડી પડાયેલા મંદિરની છે જે તંત્રએ તોડી પાડ્યું હતું. હિન્દૂ સંગઠનના સભ્યોએ તંત્ર આવ્યું નહીં સુધી ધરણા કરી વિરોધ કર્યો. રાત્રીમાં આ જગ્યાએ ભય હોવા છતાં  પણ તેઓ ત્યાં જ સૂઈ ગયા હતા અને  હજી  પણ દેખાવો યથાવત છે. 


ઓલ્ડ પાદરા રોડ પર ગત શનિવારે જે મંદિર તોડવામાં આવ્યા હતા તેની મૂર્તિઓ આજે નવલખી કુત્રિમ તળાવ  પાછળ કચરાની જેમ નાખી દેવામાં આવી હતી તેવા આક્ષેપ સાથે હિન્દૂ સંગઠનના નીરજ જૈન, ટિમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ, આપના નેતા, અને કોંગ્રેસના નેતા નવલખી મેદાન ખાતે જ્યાં પ્રતિમાઓ ફેંકી દેવાઈ  હતી ત્યાં રાત્રે જ બેસી વિરોધમાં જોડાયા હતા.


 નવલખી મેદાન ખાતે એક તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજર હતા તો ગ્રાઉન્ડને પેલે પાર વિરોધ થઈ રહ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સામાજિક આગેવાનો સાથે હિન્દૂ આગેવાનો પહોંચી હનુમાનજી, ગણેશજીની મૂર્તિને કચરામાંથી કાઢી તેમને સ્થળ પર જ ગોઠવી ફુલહાર કરી જયશ્રી રામના જયઘોષ તેમજ ગણપતિ બાપ્પા મોરિયાના નારા લગાવ્યાં હતા. તેમજ જ્યાં સુધી ચૂંટાયેલી પાંખ કે વહીવટી પાંખ ના આવે ત્યાં સુધી સ્થળ પરજ બેસી રામધૂન કરવાનું એલાન કર્યું હતું. 


કૉંગ્રેસ મહામંત્રી અમિત ઘોટીકરે આરોપ લગાવતા કહ્યું કે સત્તાધીશો સત્તાના નશામાં ચૂર થઈ ભગવાનનો માત્ર મત લેવા માટે ઉપયોગ કરી લે છે અને ત્યાર બાદ તેને તરછોડી દે છે, આ યોગ્ય ના કહેવાય.


તો સામે પક્ષે મેયર કેયુર રોકડીયાએ આક્ષેપો પાયા વિહોણા ગણાવી ફક્ત પ્રસિદ્ધિ માટેનો આ વિરોધ ગણાવ્યો હતો, મેયરે કહ્યું જે ઓલ્ડ પાદરા રોડ ખાતે મંદિર તોડયા હતા ત્યાંની ભગવાનની પ્રતિમાઓ અન્ય મંદિરમાં ખસેડી હોવાની વિગત આપી હતી. જોકે હજી  પણ નવલખી મેદાન ખાતે લોકો બેસી વિરોધ કરી તંત્ર ભગવાનની પ્રતિમાઓ યોગ્ય જગ્યાએ પહોંચાડવાની  માંગ કરી રહ્યા છે.