Accident: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. પાદરા-જંબુસર હાઇવે પર ઇકો કાર અને મોટર સાઇકલ વચ્ચે અકસ્માત થયો હતો. પાદરા-જંબુસરના લોહી તરસ્યા હાઇવેએ વધુ બે લોકોના જીવ લીધા છે. કુરાલ અને અભોર વચ્ચે થયેલા અકસ્માતમાં મોટર સાયકલ સવાર સહિત 2 લોકોના મોત થયા હતા. બંને મૃતક આભોર ગામના રહેવાસી હતા. વડુ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકોને પોસ્ટ મોર્ટમ અર્થે વડુ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.


આણંદમાં ભાલેજ રોડ પર વિદ્યાર્થી વાનને અકસ્માત


આણંદના ભાલેજ રોડ પર આજે અકસ્માતની ઘટના બની હતી. આણંદના રાહતળાવ ગામના પાટિયા પાસે ઘટના બની હતી. સ્કૂલે જતી વાનને અકસ્માત નડ્યો હતો, અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓને નાની મોટી ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે  ખસેડાયા હતા.


પાટણમાં ટ્રક ચાલકે કારને ટક્કર મારી


આજે પાટણ હાઇવે પર અક્માતની ઘટના બની. પાટણ- ઘારપુર હાઇવે પર ટર્બો ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ટર્બો ચાલકે પાર્ક કરેલી કારને ટક્કર હતી, જે બાદ ટ્રક દીવાલમાં ઘુસ્યો હતો. ટર્બો ચાલકે ઘારપુર હોસ્પિટલ પાસે આવેલ ડિવાઇન મેન્ટર હેલ્થ એન્ડ રીહેબ સેન્ટરની દીવાર તોડી હતી. ટર્બો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સદનસીબે કોઈ જાનહાની ટળી હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થયો હતો.


ટ્રાફિક પોલીસે એક તારણ કાઢ્યું છે કે, અકસ્માતો પાછળ સૌથી વધુ કારણ શું છે. મોબાઇલ ઉપર વાત કરવી અને ઓવર સ્પીડિંગના કારણે અકસ્માત થઈ રહ્યા છે અને લોકો મરી રહ્યા છે. 2022 અને ચાલુ વર્ષે કેટલા લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો તેના આંકડા પર નજર કરીએ. દેશ માટે અકસ્માતના કારણે થતા મોત ખૂબ જ ચિંતાજનક છે. સૌથી વધુ લોકો અકસ્માતમાં મોતને ભેટી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો વર્ષ 2022માં 1793 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમાંથી 488 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે 720 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને અને 585 સામાન્ય ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2023માં નવેમ્બર સુધીમાં 1693 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાંથી 480 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે 642 લોકો ગંભીર રીતે તો 574 લોકો સામાન્ય ઇજાગ્રસ્ત થયા હતા.