વડોદરાઃ સોની પરિવારના 6 સભ્યોના આપઘાતના પ્રયાસમાં નવો ઘટસ્ફોટ થયો છે. આ પરિવાર પાસેથી અલગ અલગ 9 જ્યોતિષીઓએ 35 લાખ પડાવ્યા હોવાથી પોલીસ તમામ જ્યોતિષીઓ સામે ગુનો દાખલ કરાયો છે. આપઘાતનો પ્રયાસ કરનાર ભાવિન સોનીએ સમા પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જ્યોતિષીઓએ 35 લાખ પડાવ્યાનો આક્ષેપ મૂકતાં પોલીસે આ જ્યોતિષીઓ સામે તપાસ શરૂ કરી છે.


ફરિયાદમાં જણાવ્યું છે કે, જ્યોતિષ હેમંત જોષીએ ઘરમાં ગુપ્ત ધન દાટેલું હોવાનું જણાવ્યું હતું. જે ખાડો ખોદી કાઢવું પડશે અને તેની વિધિ કરવાનો 35 હજાર રૂપિયાનો ખર્ચ જણાવ્યો હતો. સોની નરેન્દ્રભાઈએ હા કહેતા હેમંતે અમદાવાદના સ્વરાજ નામના માણસનો સંપર્ક કરાવ્યો હતો. સ્વરાજે ઘરે આવી રસોડાની એક ટાઇલ્સ હટાવી ખાડો ખોદી તેમાંથી બે તાંબાના કળશ બહાર કાઢ્યા હતા. એક કળશમાં સોનાના દાગીના ભરેલા હતા અને બીજામાં હાડકા ભરેલા હતા. આ સોનાના કળશને તિજોરીમાં મૂકી દીધો હતો.

આ પછી સ્વરાજ જ્યોતિષે રસોડાની અંદર બીજા 16 કળશ દાટેલા હોવાનું અને તેને કાઢવાનો 13.50 લાખ રૂપિયાનો ખર્ચો જણાવ્યો હતો. આથી આ સોની પરિવારે રૂપિયાની વ્યવસ્થા કરી સ્વરાજ જ્યોતિષને આપ્યા હતા. આ પછી તેણે ઘરે આવી વીધિ કરી ત્રણ કળશ કાઢ્યા હતા. જેમાં માટી, હાડકા તથા બે કિલો ચાંદી નીકલી હતી.

પહેલાના કળમાં લખાણ લખેલું હતું કે, સોનાનો કળશ નિકળેલ તે પાણીમાં પધરાવો. આથી પિતા નરેન્દ્ર સોનીએ આ કળશ પાણીમાં પધરાવી દીધો હતો. જોકે, આ ફચી સ્વરાજ જ્યોતિષે બીજા 9 લાખની માંગણી કરતાં સોની પરિવારે ના પાડી દીધી હતી. આ પછી પણ નરેન્દ્ર સોનીએ અન્ય જ્યોતિષિઓ પાસે વિધિ કરાવી હતી.