વડોદરાઃ સોની પરિવારના 6 સભ્યોના આપઘાતના પ્રયાસમાં નવો ઘટસ્ફોટ થયો છે. આ પરિવાર પાસેથી અલગ અલગ 9 જ્યોતિષીઓએ 35 લાખ પડાવ્યા હોવાથી પોલીસ તમામ જ્યોતિષીઓ સામે ગુનો દાખલ કરશે. આપઘાતનો પ્રયાસ કરનાર ભાવિન સોનીએ સમા પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જ્યોતિષીઓએ 35 લાખ પડાવ્યાનો આક્ષેપ મૂકતાં પોલીસે આ જ્યોતિષીઓ સામે તપાસ શરૂ કરી છે.


આ કેસમાં ગોત્રી કેનાલ પાસે રહેતા જ્યોતિષ હેમંત જોશી મુખ્ય છે. હેમંત જોશીએ અમદાવાદના જ્યોતિષ સ્વરાજ જોશી સાથે નરેન્દ્ર સોનીને મળાવ્યા હતા ને બંનેએ મળી 13.50 લાખ રૂપિયા ખંખેર્યા હતા. આ ઉપરાંત અમદાવાદના જ્યોતિષ પ્રહલાદ જોશીએ 2 લાખ પડાવ્યા હતા. અમદાવાદના રાણી માં રહેતા જ્યોતિષ સમીર જોશીએ 5 લાખ પડાવ્યા હતા.

આ ઉપરાંત પુષ્કર દર્શન કરવા પરિવાર ગયો ત્યાં પણ જ્યોતિષને 4 લાખ આપ્યા હતા પણ જ્યોતિષ વિધિ કરવા આવે તે પહેલાં મૃત્યુ પામ્યો હતો. પાણીગેટ આયુર્વેદિક ચાર રસ્તા પાસે રહેતા જ્યોતિષ સાહિલ વોરાએ 3.50 લાખ પડાવ્યા હતા જ્યારે અમદાવાદના જ્યોતિષ વિજય જોશી અને અલ્કેશ એ 4.50 લાખ પડાવ્યા હતા. તમામ જ્યોતિષે વિશ્વાસમાં લઈ વાસ્તુદોષ કરાવવાના બહાને 35 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.