Vadodara: હવામાન વિભાગ દ્વારા 24 કલાકમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 24 કલાક બાદ બાદ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગ મુજબ, સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડશે, દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ પડશે.
છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સોમનાથ, અમરેલી, ભાવનગર પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી છે.


ભારે વરસાદની આગાહીના પગલે વડોદરાના ઢાઢર અને ઓરસંગ નદીના હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. નદીમાં પૂરની સ્થિતિમાં પાર કરવાનું દુઃસાહસના કરવા અપીલ કરવામાં આવી છે.

છોટા ઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઓરસંગ ઉપરાંત ઢાઢર નદીમાં આવેલા પૂરને પરિણામે વડોદરા જિલ્લાના ૩39 ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા કલેક્ટર અતુલ ગોર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

કલેક્ટર દ્વારા જણાવાયું છે કે, ભારતીય વેધશાળા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે, વડોદરા તથા પંચમહાલ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.  ઉક્ત સ્થિતિમાં વરસાદ પડવાથી ઓરસંગ અને ઢાઢર નદીમાં વધુ પૂર આવવાની શક્યતા છે. તેથી આ નદીના હેઠવાસમાં આવેલા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચિત કરવામાં આવે છે. નદીમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે નદીમાં ઉતરવાનું દુઃસાહસ ના કરવા અપીલ છે.




ઢાઢર નદીના કિનારે આવેલા કયા ગામોને કરાયા સાવચેત

ઢાઢર નદીના કિનારે આવેલા ડભોઇ તાલુકાના નવાપૂરા, રાજલી, અંગુઠણ, થુવાવી, ઢોલાર, કરાલીપૂરા, બહેરામપૂરા, કરજણ તાલુકાના ખેરડા, હરસુડા, પિંગલવાડા, માનપૂર, સુરવાડા, સંભોઇ, વીરજઇ, અભરા, ઉમજ, પાદરા તાલુકાના વણછરા, કોટાણા, શહેરા, સદાદ, કોઠાવાડા, વાસણારેફ, નેદ્રા, વડોદરા તાલુકાના તલસટ, ચિખોદ્રા, અલ્હાદપૂરા, ધનિયાવી, શાહપૂરા, રાઘવપૂરા, પાતરવેણી, વડદલા, અજીતપૂરા, પોર, રમણગામડી, ગોસીન્દ્રા, ઉટીયા મેઢાદના ગ્રામજનોએ પૂરની બાબતે સાવચેતી રાખે એ હિતાવહ છે.


ઓરસંગ નદીના કિનારે આવેલા ગામોને પણ કરવામાં અપીલ


તદ્દઉપરાંત, ઓરસંગ નદીના કિનારે આવેલા ડભોઇ તાલુકાના ઓરડી, જેસંગપુર, નાગડોલ, આસોદરા, અરણિયા, ભીલોડિયા, અકોટી, કરણેટ, નવી માંગરોળ, જૂની માંગરોળ , ભીમપૂરા, સીતપુર, ચનવાડા ગામના લોકોએ નદીમાં બિનજરૂરી અવરજવર ના કરવી. નદી ઉપર આવેલા પૂલ ઉપરથી રસ્તો પસાર કરવા તાકીદ કરવામાં આવી છે.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.