વડોદરાઃ ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે ત્યારે રાજકારણીઓ પણ કોરોનાની લપેટમાં આવી રહ્યા છે. વડોદરામાં ભાજપના વધુ એક કોર્પોરેટર કોરોના પોઝિટિવ જાહેર થતાં આ યાદીમા વધુ એકનો ઉમેરો થયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 15નાં કોર્પોરેટર પૂનમબેન શાહ અને તેમનો પરિવાર કોરોનાથી સંક્રમિત થયો

  છે. પૂનમ શાહ અને તેમના પતિ ગોપાલ શાહને કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પૂનમ શાહ સાથે અત્યારસુધી ભાજપના 8 કોર્પોરેટરને કોરોના થઈ ચૂક્યો છે.


ગુજરાતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે અને તેમાં પણ ચાર મોટા શહેરોમાં તો કોરોનાના કેસો જોરદાર વધી રહ્યા છે. આ ચાર શહેરોમાં કોરોનાની બીજી લહેર આવી ગઈ છે અને તેનો ભોગદ વધુ ને વધુ લોકો બની રહ્યા છે. વડોદરા શહેરમાં પણ કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક સાબિત થઇ રહી છે અને આ લહેરમાં ભાજપના મહિલા નેતા પણ ભોગ બન્યાં છે.  


ભાજપનાં મહિલા નેતા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 18નાં ભાજપાના ભૂતપુર્વ કોર્પોરેટર શકુંતલાબેન શિંદેનું કોરોનાથી નિધન થયું છે. શકુંતલાબેન શિંદે  છેલ્લા એક સપ્તાહથી ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતા. રવિવારે તેમનું મૃત્યુ થયું હતું. વડોદરામાં કોરોનાના કારણે રવિવારે કુલ સાત લોકોનાં મોત થયાં છે.


શકુંતલાબેન શિંદે ઉપરાંત સુભાનપુરાના 56 વર્ષના આધેડ, ગોરવાના 38 વર્ષના યુવક, મકરપુરાના 70 વર્ષના વૃધ્ધ, માંડવી વિસ્તારના 68 વર્ષના વૃધ્ધ મહિલા, ઓ.પી.રોડના 49 વર્ષના આધેડ અને તરસાલીના 72 વર્ષના વૃધ્ધ મહિલા મળીને ૭ દર્દીઓનાં મૃત્યુ થયા હતા. 


કોર્પોરેશનના આંકડા મુજબ શનિવારે શહેરમાં 108 પોઝિટિવ કેસ નોંધાયા હતા તો 110 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરીને રજા આપવામાં આવી હતી. બીજી તરફ તંત્ર દ્વારા કોરોનાથી એક મોત નોંધવામાં આવ્યુ હતુ જ્યારે બિનસત્તાવાર રીતે 7 મોત થયા હતા.