વડોદરાઃ શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ઝવેરનગર સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ પતિ અને સાસરીયા સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં દહેજની માંગણી કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદ છે કે, દહેજની માંગણી કરી ત્રાસ આપીને તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે. એટલું જ પરિણીતાએ પોલીસ ફરિયાદમાં અનેક ચોંકાવનારી વિગતો લખાવી છે.


પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, યુવતીના પિતાના મિત્ર અને યુવકના કાકાએ લગ્નની વાત કરીને ખાલી 15 દિવસમાં જ તેના લગ્ન કરાવી દીધા હતા. સુહાગરાતે જ તેનો પતિ શારીરિક સંબંધ બાંધવામાં નિષ્ફળ રહ્યો હતો. એટલું જ નહીં, છ-સાત દિવસ સુધી તેનો પતિ શારીરિક સંબંધ બાંધી નહોતો શક્યો અને પત્ની સામે રડી પડ્યો હતો.

એટલું જ નહીં, પરિણીતાએ ફરિયાદ કરી છે કે, પતિમાં પુરુષત્વની ખામી હોવાનું જણાતા તેણે તેના સાસુને આ અંગે વાત કરી હતી અને અલગ અલગ ત્રણ ડોક્ટર પાસે સારવાર કરાવી હતી, પરંતુ કોઈ ફરક પડ્યો નહોતો. એટલું જ નહીં, પરિણીતાની ફરિયાદ છે કે, તેનો પતિ તેની સાથે અકુદરતી સંબંધ બાંધતો હતો અને ના પાડે તો મારપીટ કરતો હતો. અકુદરતી સંબંધને કારણે તેને ફંગસ થઈ જતા અવાર-નવાર રક્તસ્રાવ પણ થતો હતો. આમ છતાં, તે પતિનો ત્રાસ સહન કરતી હતી.

પરિણીતાનો આક્ષેપ છે કે, સાસુ આ અંગે પિતને સમજાવવાને બદલે પિયરમાંથી દર મહિના રૂપિયા લાવવાનું જણાવી ત્રાસ આપતા હતા. તેમજ તેને અપૂરતુ અને વાસી ખાવાનું આપતા હતા. ગત 26મી ફેબ્રુઆરીએ તેની સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો કરી પતિ તેમજ સાસુ-સસરાએ માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. પરિણીતાની આ ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.