નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વમાં કોરોના મામલાની સંખ્યા 95 લાખને પાર કરી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા ચાર લાખ 83 હજાર થઈ છે.


કોરોના વાયરસને નાથવા વિશ્વના ઘણા દેશો રસી પર કામ કરી રહ્યા છે. પરંતુ વેકસીન બનાવાની દોડમાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને ઑસ્ટ્રેજેનેકા કંપની સૌથી આગળ છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, ChAdOx1 nCoV-19 વેકસીન માટે AstraZenecaને લાયસન્સ આપવામાં આવ્યું છે. યુકેમાં આગામી તબકકામાં 10,260 પુખ્તો અને બાળકોને આપવામાં આવશે. આ વેક્સીન ChAdOx1 વાયરસથી બની છે. જે એક સામાન્ય કોલ્ડ વાયરસ (એડેનોવાયરસ)નું નબળું વર્ઝન છે. જે ચિંપાઝીમાં સંક્રમણનું કારણ બને છે. જેને આનુવંશિક રૂપમાં બદલી દેવામાં આવ્યો છે, તેથી માનવીમાં સંક્રમણનું કારણ બની શકતું નથી.

આ રસીનું સાઉથ આફ્રિકા, બ્રાઝિલ અને ભારતમાં પણ પરીક્ષણ થશે. સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા 100 મિલિયન ડોલરનું રોકાણ કરીને ભારત અને અન્ય ઓછી તથા મધ્યમ આવક ધરાવતાં દેશો માટે એક બિલિયન ડોઝનું ઉત્પાદન કરશે.

ઓક્સફોર્ડના વેકસીન ગ્રુપના હેડ પ્રોફસેર એન્ડ્રૂ પોલાર્ડે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં બે તબક્કામાં 800 લોકો પર તેનું પરીક્ષણ સફળ રહ્યું છે. ક્લીનિકલ ટ્રાયલમાં સારી પ્રગતિ જોવા મળી છે અને અમે હવે વેકસીન વૃદ્ધોમાં રોગપ્રતિકારકતાનો કેવો પ્રતિભાવ આપે છે તેનું પરીક્ષણ કરી રહ્યા છે.

જો પરીક્ષણ સફળ રહેશે તો ઓક્સફોર્ડ ચાલુ વર્ષના અંત સુધીમાં કોવિડ-19 વેક્સીન લોન્ચ કરવાની આશા રાખી રહ્યું છે.