વોશિંગ્ટન ડીસીઃ કૃષિ કાનૂનના વિરોધમાં ખેડૂત પ્રદર્શન વિદેશમાં પણ થઈ રહ્યું છે. પરંતુ તેનો ફાયદો દેશ વિરોધી સંગઠનો ઉઠાવી રહ્યા છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં કૃષિ કાનૂન સામે પ્રદર્શને ભારત વિરોધી રૂપ ધારણ કરી લીધું હતું. અહીં કેટલાક દેખાવકારોએ ભારતીય દૂતાવાસ પાસે મહાત્મા ગાંધીની મૂર્તિને ખંડિત કરી હતી. ઘટના સ્થળ પર ખાલિસ્તાનના ઝંડા પણ જોવા મળ્યા હતા.


ભારતીય દૂતાવાસે મેટ્રોપોલિટન અને નેશનલ પાર્ક પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. મામલાની જાણકારી તાત્કાલિક વિદેશ મંત્રાલયને કરવામાં આવી હતી, જેમણે આ મુદ્દે ભારતીય રાજદૂત સાથે વાત કરી હતી. ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ સ્ટીફન બીગને આ ઘટના માટે માફી પણ માંગી છે. બીગને જ મહિના પહેલા તરણજીત સિંહ સિંધૂ સાથે મળી આ મૂર્તિનું ફરી અનાવરણ કર્યુ હતું.



થોડા દિવસ પહેલા ગુપ્તચર રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે, આંદોલનનો ખાલિસ્તાની તેમના ફાયદા માટે ઉપયોગ કરી શકે છે. સરકારના મંત્રી પણ આ પ્રકારનું નિવેદન આપી ચુક્યા છે.

દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 18મો દિવસ છે.  ખેડૂત નેતાઓનું કહેવું છે કે અમે આંદોલન વધારે ઉગ્ર બનાવવાનો ફેંસલો કર્યો છે. યૂનિયનના નેતા 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ પર બેસશે. આજે રાજસ્થાન બોર્ડરથી હજારો ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કાઢશે અને દિલ્હી જયપુર હાઇવે બંધ કરશે.