નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપના મધ્યસ્થતાવાળા નિવેદનન પર ભારતનું રાજકારણ ગરમાયું છે. ટ્રંપના નિવેદન પર ભારતની પ્રતિક્રિયા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે હું ભારતની પ્રતિક્રિયાથી હેરાન છું. ઈમરાન ખાને કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કાશ્મીર મુદ્દાને ઉકેલવાની રજૂઆત કરી હતી.


ઇમરાન ખાને કહ્યું કે “કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા માટે પાકિસ્તાન અને ભારતને વાતચીતના મંચ પર લાવવા માટે ટ્રંપની મધ્યસ્થતા રજૂ કર્યા બાદ ભારતની આ પ્રતિક્રિયાથી હેરાન છું. જમ્મુ- કાશ્મીર વિવાદે 70 વર્ષોથી આ ક્ષેત્રને બંધક જેવો બનાવી દીધો છે. કાશ્મીરના લોકોને રોજ નુકશાન ભોગવવું પડે છે. જેના સમાધાનની જરૂર છે. ”


ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે ડોનાલ્ડ ટ્રંપે ઇમરાન ખાન સાથે પ્રેસ કોન્ફ્રેન્સ કરતા કહ્યું હતું કે તે કાશ્મીર મુદ્દે મધ્યસ્થા માટે તૈયાર છે. એટલુંજ નહીં ટ્રંપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ભારતના વડાપ્રધાને તેમની પાસે જમ્મુ-કાશ્મીર મુદ્દે મદદ માંગી હતી.



જો કે કાશ્મીર મુદ્દે ભારત કોઈ પણ સ્થિતિમાં ત્રીજા પક્ષની દખલ ઈચ્છતું નથી. પરંતુ ટ્રંપના આ નિવેદનથી ભારતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષ પાર્ટીઓએ સંસદમાં હોબાળો મચાવ્યો હતો અને વડાપ્રધાન મોદી પાસે આ મામલે સ્પષ્ટતાની માંગ કરી રહી છે. આજે લોકસભા અને રાજ્યસભમાં વિદેશ મંત્રીએ આ મામલે જવાબ આવ્યો હતો. પરંતુ વિપક્ષ તેમના નિવેદનથી અસંતોષ જોવા મળી હતી.