Israel-Hamas War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝા પટ્ટીમાં રહેતા પેલેસ્ટાઈનીઓને અત્યાર સુધી સૌથી વધુ નુકસાન થયું છે. હમાસના હુમલાને કારણે ઈઝરાયેલમાં પણ મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. ઇઝરાયલ પર હમાસના હુમલામાં 1200 થી વધુ ઇઝરાયેલના નાગરિકોના મોત થયા છે, જ્યારે 2800 જેટલા લોકો ઘાયલ થયા છે. આ સિવાય ઈઝરાયેલના દક્ષિણ ભાગમાં આવેલા શહેરોમાં ઘરોને વ્યાપક નુકસાન થયું છે. ઈઝરાયેલના નાગરિકોનું પણ અપહરણ કરીને ગાઝા પટ્ટી લઈ જવામાં આવ્યા છે.


 ગાઝામાં પણ આવી જ સ્થિતિ છે, જ્યાં ઈઝરાયેલે એટલો બૉમ્બમારો કર્યો છે કે ત્યાંની ઈમારતો ધૂળમાં ફેરવાઈ ગઈ છે. ગાઝા પર હવાઈ હુમલાને કારણે અત્યાર સુધીમાં 1900થી વધુ પેલેસ્ટાઈનીઓએ જીવ ગુમાવ્યા છે. ઘાયલોની સંખ્યા 7600ને વટાવી ગઈ છે. તેના ઉપર ઈઝરાયેલે ગાઝાને વીજળી, પાણી અને ઈંધણનો સપ્લાય પણ બંધ કરી દીધો છે. આવી સ્થિતિમાં હવે લોકો પણ પૂછી રહ્યા છે કે શું યુદ્ધના કોઈ નિયમો છે?  શું કોઈ દેશ યુદ્ધ દરમિયાન દુશ્મનોને વીજળી અને પાણીનો પુરવઠો કાપી શકે છે? ચાલો જાણીએ આનો જવાબ.


 યુદ્ધના નિયમો શું છે?


વિશ્વમાં યુદ્ધના નિયમો પણ બનાવવામાં આવ્યા છે, જે 'આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા' એટલે કે IHL તરીકે ઓળખાય છે. આમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે, યુદ્ધ દરમિયાન શું કરી શકાય અને શું નહીં. રેડ ક્રોસના સ્થાપક હેનરી ડ્યુનાન્ટે સૌપ્રથમ 1864માં જિનીવા સંમેલનોમાં યુદ્ધના નિયમો માટે ઝુંબેશ ચલાવી હતી. તે સમયે તેના પર હસ્તાક્ષર કરનારા દેશોની સંખ્યા 12 હતી, જ્યારે આજે 196 દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે.


શરૂઆતમાં જે નિયમો બનાવવામાં આવ્યા હતા તેમાં કહેવામાં આવ્યું હતું કે, કોઈપણ દેશની સેના દુશ્મનના ઘાયલ સૈનિકો સાથે ગેરવર્તન નહીં કરે. જો કોઈ સૈનિક ઘાયલ થાય તો તેની સારવાર કરવી તેની ફરજ છે. પરંતુ જ્યારે પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં પકડાયેલા દુશ્મન સૈનિકો અને નાગરિકો પર અત્યાચારો થયા, ત્યારે જિનીવા સંમેલનો વિસ્તારવામાં આવ્યા. માત્ર દુશ્મન દેશોના સૈનિકો સાથે જ નહીં પરંતુ નાગરિકો સાથે પણ કોઈ ગેરવર્તણૂક નહીં થાય તે પણ નક્કી કરવામાં આવ્યું હતું.


જીનીવા સંમેલનો એ ચાર સંધિઓ અને ત્રણ વધારાના પ્રોટોકોલનો સમૂહ છે. જિનીવા કન્વેન્શનમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, હેલ્થકેર વર્કર્સ, એઇડ વર્કર્સ અને નાગરિકોને નિશાન બનાવી શકાય નહીં. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જિનીવા પ્રોટોકોલ હેઠળ યુદ્ધના કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા હતા. 1925 માં સ્વિટ્ઝર્લેન્ડમાં તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પ્રોટોકોલ હેઠળ ફોસ્ફરસ અને ક્લોરિન ગેસ જેવા રાસાયણિક અને જૈવિક હથિયારોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.


યુદ્ધ અપરાધ શું છે?


નાગરિકો, રહેણાંક વિસ્તારો, હોસ્પિટલો, ધાર્મિક સ્થળો, ઐતિહાસિક સ્થળો અથવા શાળાઓને નિશાન બનાવવું યુદ્ધ અપરાધની શ્રેણીમાં આવે છે. સાદી ભાષામાં, જ્યાં યુદ્ધ દરમિયાન લોકોને ત્રાસ આપવામાં આવે છે, તેને યુદ્ધ અપરાધ ગણવામાં આવે છે. લોકોને ભૂખમરાની સ્થિતિમાં  મૂકવું એ પણ યુદ્ધ અપરાધ માનવામાં આવે છે. તેમને પાણી, વીજળી અથવા ખોરાકનો પુરવઠો બંધ કરવો એ પણ યુદ્ધ અપરાધ છે. કુલ મળીને 50 પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે યુદ્ધ અપરાધની શ્રેણીમાં આવે છે.