નવી દિલ્હીઃ મહામારી બની ચૂકેલા કોરોના વાયરસે આખી દુનિયામાં કહેર મચાવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નોવલ કોરોના વાયરસને મહામારી જાહેર કર્યો છે. આ મહામારીથી અનેક લોકોએ  જીવ ગુમાવ્યા છે. તો અનેક લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ ડર વચ્ચે લોકો માટે કોરોના વાયરસને લઇને એક રાહત આપનારા સમાચાર આવ્યા છે. કોરોના વાયરસના દહેશત વચ્ચે એક દેશે દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસ જેવા જીવલેણ બીમારીની વેક્સિન શોધી દીધી છે. ટૂંક સમયમાં આ વેક્સીનને તમામ સંક્રમિત દેશોમાં મોકલવામાં આવશે.


ઇઝરાયલના ઇન્સ્ટીટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ આ ખતરનાક બીમારીનો તોડ શોધ્યો છે. ઇન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે કોરોના વાયરસની રસી બનાવવામાં આવી છે.  અને તેને જલદી સતાવાર માન્યતા મળી જશે. જ્યારે ઇઝરાયલના સંરક્ષણ મંત્રી નેફટાલી બેનિટે કહ્યું હતું કે, અમારા વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ ઉપર શોધ કરીને વાયરસના નેચરને સમજ્યો છે. સાથે કોરોના વાયરસના જૈવિક તંત્ર અંગે અભ્યાસ કરીને તેની ઓળખ કરવામાં સફળતા હાંસલ કરી છે.

તેમણે સ્થાનિક ન્યૂઝપેપરને કહ્યુ કે કોરોના વાયરસના પ્રતિરોધકને વિકસિત કરવામાં સમય લાગ્યો પરંતુ તેના ઉપયોગથી સફળતા મળી શકે છે. સંસ્થામાં 50થી વધુ અનુભવી વૈજ્ઞાનિકો વાયરસની વેક્સીન બનાવવામાં લાગ્યા છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસની વિકાસ પ્રક્રિયાનું પરીક્ષણ અને પ્રયોગોની એક શ્રેણીબદ્ધ આવશ્યકતા હોય છે જે વેક્સીનને પ્રભાવી અને સુરક્ષિત હોવામાં મદદ કરે છે.