કરતારપુર: પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના શિલાન્યાસ બાદ વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે જેવી રીતે મુસ્લિમો માટે મદીના છે તેવી રીતે શીખો માટે કરતારપુર છે. ઇમરાને કહ્યું આગમી વર્ષે તમે અહીં આવશો ત્યારે તમને ખુશી થશે અમે અહીં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું. ઇમરાને નવજોત સિંહ સિદ્ધુની પ્રશંસા કરતા કહ્યું કે તેમની વાતો સાંભળીને ખુશ છું.


ઇમરાન ખાને કહ્યું કે ભારત અને પાકિસ્તાન બન્ને દેશો તરફથી ભૂલો થઈ છે. પણ આપણે સંબધો સુધારવા જોઈએ. ભૂલોને પાછળ છોડી આપણે આગળ વધવું જોઈએ. બન્ને તરફની જંજીરો તોડવી જરૂરી છે. તેમણે કહ્યું પાકિસ્તાનની સેના અને સરકાર અલગ નથી. અમે ભારત સાથે દોસ્તી ઇચ્છીએ છે.

આ સાથે ઇમરાન ખાને કહ્યું કે ભારત જો એક ડગલું આગળ વધશે તો અમે બે ડગલા આગળ આવશું. કાશ્મીર મુદ્દાને લઈને ઇમરાને કહ્યું આ મુદ્દાનો ઉકેલ વાતચીત દ્વારા થઈ શકે છે. તેમણે કહ્યું ભારત અને પાકિસ્તાન બન્ને પાસે પરમાણું શક્તિ છે. એવામાં બન્ને વચ્ચે યુદ્ધ થઈ શકે નહીં. યુદ્ધ વિશે વિચારવું પાગલપન જેવું છે.