Maldives Economic Crisis:  ભારત સાથે દુશ્મની કરીને ચીન સમર્થક મોહમ્મદ મુઈઝુએ પર્યટનનું સ્વર્ગ કહેવાતા માલદીવ દેશને બરબાદ કરી નાખ્યો છે. મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા બાદ માલદીવ તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. દેશની આર્થિક વ્યવસ્થા એટલી હદે પડી ભાંગી છે કે સરકારી કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા નથી. માલદીવિયન ન્યૂઝ પોર્ટલ અધાધુના અહેવાલ મુજબ, મુઇઝુ સરકારે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે બેંક ઓફ માલદીવ પાસેથી 800 મિલિયનની લોન લીધી છે.


એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એક વિશ્વસનીય સ્ત્રોતને ટાંકીને અધાધુએ કહ્યું કે, નેશનલ બેંકે માલદીવના નાણા મંત્રાલયને  800 મિલિયન MVRની લોન જારી કરી છે. અધાધુએ એમ પણ કહ્યું કે સરકારે કર્મચારીઓના પગાર ચૂકવવા માટે આ લોન લીધી છે. આ દરમિયાન નિષ્ણાતોએ માલદીવની આર્થિક સ્થિતિ અંગે ચેતવણી આપી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ભારતે 50 મિલિયન યુએસ ડોલરની લોનની ચુકવણીમાં એક વર્ષનો વધારો કર્યો છે.


ભારતે લોનની ચુકવણીનો સમયગાળો વધારી આપ્યો
માલદીવને ગયા મહિને જ 50 મિલિયન અમેરિકી ડોલરની લોન ચૂકવવાની હતી, પરંતુ આર્થિક સંકટને કારણે માલદીવના રાષ્ટ્રપતિ મો મુઈઝુએ ભારત સરકારને એક્સ્ટેંશન માટે વિનંતી કરી હતી. આ વર્ષે જૂનમાં, મુઇઝુ સરકારે નાણાકીય કટોકટી દૂર કરવા માટે ખર્ચમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે રાજ્યના ખર્ચને ઘટાડવા માટે ઘણા પગલાં અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આમાં રાજકીય હોદ્દા ઘટાડવા, ખર્ચ ઘટાડવા અને વિવિધ પ્રસંગોએ ઉજવણી ન કરવાનો નિર્ણય લેવાનો સમાવેશ થાય છે.


માલદીવમાં આર્થિક સંકટ માટે કોણ જવાબદાર?
બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે માલદીવમાં આર્થિક સંકટ પાછળનું કારણ સરકારી ખર્ચમાં વધારો છે. રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ મુહમ્મદ મુઈઝુએ તુર્કી પાસેથી 37 મિલિયન યુએસ ડોલરમાં ડ્રોન ખરીદ્યું. આ વર્ષની શરૂઆતમાં માલદીવે ભારતને 50 મિલિયન યુએસ ડોલરની લોન વ્યાજ સહિત ચૂકવી હતી, જો કે તે સમયે તેની ચૂકવણી કરવાની કોઈ જવાબદારી નહોતી. તમને જણાવી દઈએ કે,મુઈઝુના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમના મંત્રીઓએ ભારત વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાદ ભારતીયોએ માલદિવ જવાનું બંધ કરી દીધુ હતું.


આ પણ વાંચો...


સરકારની લાલ આંખ! Aadhaar અને PAN કાર્ડના ડેટા લીક કરતી અનેક વેબસાઈટ કરી દીધી બ્લોક