નવી દિલ્હીઃ મુંબઈ પર થયેલ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદની જમાત-ઉદ દાવા (જેયૂડી) અને તેના એકમ ફલાહ-એ-ઇન્સાનિયન ફાઉન્ડેશન (એફઆઈએફ) પર કોઈ પ્રતિબંધ નથી મુક્યો પરંતુ તેને નીરિક્ષણ સંગઠનોની યાદીમાં રાખવામાં આવ્યા છે. જોકે પાકિસ્તાનને એક પખવાડીયા પહેલા તેના પર પ્રતિબંધ લગાવવાની વાત કહી હતી. પાકિસ્તાન સરકારના એનસીટીએની વેબસાઈટના જણાવ્યા અનુસાર જેયુડી અને એફઆઈએફ સંગઠન આતંકવાદ વિરોધી અધિનિયમ 1997ની કલમ 11-ડી અંતર્ગત તે સંસ્થા ગૃહમંત્રાલયની નજર હેઠળ રહેશે.




સોમવારે અપડેટ થયેલ આ વેબસાઈટ પરથી આ વાત જાણવા મળી હતી. આ વેબસાઈટ અનુસાર જેયુડી અને એફઆઈએફ સંસ્થાને અંડર મોનિટરિંગ સંગઠનની યાદીમાં રાખવાની સૂચના તા. 21 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવી હતી. એક વખત એલાન કર્યા બાદ પાકિસ્તાને ફરી ફેરવી તોડ્યું હતું.



આ અગાઉ વેબસાઈટે કહ્યું હતું કે, જેયુડી અને એફઆઈએફને જાન્યુઆરી 2017માં અંડર મોનિટરિંગ સંસ્થાઓની યાદીમાં મૂકવામાં આીવ હતી. તા. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ આતંકી સંગઠન પર નિયંત્રણ લાદવા અને વૈશ્વિક દબાણ પર પાકિસ્તાન સરકારે 21 ફેબ્રુઆરીના રોજ જેયુડી અને એફઆઈએફ પર પ્રતિબંધ મૂકવા માટેની જાહેરાત કરી હતી.

વરિષ્ઠ સુરક્ષા અઘિકારીએ કહ્યું હતું કે, આનો અર્થ એ થયો કે, પાકિસ્તાને જેયુડી અને એફઆઈએફ પર પ્રતિબંધ કરવાના મુદ્દે ખોટું બોલ્યું છે. વાસ્તવમાં તેણે દુનિયાને ઉઠા ભણાવ્યા છે. માત્ર તેણે તારીખમાં ફેરફાર કર્યો હતો.