ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનું એક નિવેદન વિવાદમાં આવી ગયું છે. તેણે ગુરુવારે ઓસામા બિન લાદેનને ‘શહીદ’ ગણાવ્યો છે. તેણે કહ્યું કે, આતંકવાદ વિરૂદધ અમેરિકાની લડાઈમાં સાથ આપીને પાકિસ્તાન શરમ અનુભવી રહ્યું છે.


બજેટ સત્ર દરમિયાન ઇમરાન ખાને સંસદમાં કહ્યું કે, ઇસ્લામાબાદને જાણ કર્યા વગર અમેરિકન કમાન્ડો પાકિસ્તાનમાં ઘુસ્યા અને ઓસામા બિન લાદેનની હત્યા કરી દીધી. ત્યાર બાદ બધાએ પાકિસ્તાનને ગાળો દેવાનું શરૂ કરી દીધું. ખાને કહ્યું કે, ‘મને નથી લાગતું કે કોઈ પણ એવો અન્ય દેશ છે જેણે આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં સાથ આપ્યો છે અને તેના માટે તેમ શરમ અનુભવી હોય. અફઘાનિસ્તાનમાં અમેરિકાની નિષ્ફળતા માટે પાકિસ્તાનને દોષિત ગણવામાં આવ્યું.’

ઇમરાન ખાને આગળ કહ્યું કે, ‘અમેરિકાના કમાન્ડો જ્યારે એબટાબાદામાં ઘુસ્યા અને તેમણે ઓસામા બિન લાદેનને માર્યો, શહીદ કર્યો ત્યારે તે પળ સમગ્ર વિશ્વમાં વસતા પાકિસ્તાનીઓ માટે શરમનો દિવસ હોત. ત્યાર બાદ સમગ્ર વિશ્વ અમે ગાળો આપવા લાગ્યું. અમારા સહયોગી અમારા દેશમાં ઘુસ્યા અને જાણકારી આપ્યા વગર કોઈને મારી નાખ્યો જ્યારે આતંકવાદ વિરૂદ્ધની અમેરિકાની લડાઈમાં 70 હજાર પાકિસ્તાની માર્યા ગયા છે.’ તમને જણાવીએ કે, બિન લાદેનને મે 2011માં પાકિસ્તાનના એબટાબાદમાં અમેરિકાની નેવી સીલ્સે મારી નાંખ્યો હતો.