ઇસ્લામાબાદઃ પાકિસ્તાની સૈન્યએ દેશના આર્થિક સંકટને જોતા આ વર્ષે પોતાના બજેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, સૈન્યએ આર્થિક સંકટનો સામનો કરવા માટે આ નિર્ણય લીધો છે. તેની પુષ્ટી કરતા પાકિસ્તાની સૈન્યના ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સના  મહાનિર્દેશક મેજર જનરલ આસિફ ગફૂરે મંગળવારે એક ટ્વિટમાં  કહ્યું કે, આગામી નાણાકીય વર્ષમાં સંરક્ષણ બજેટમાં સ્વૈચ્છિક ઘટાડો સુરક્ષાની કિંમત પર નહી થાય.


ગફૂરે કહ્યું કે, એક વર્ષ માટે સંરક્ષણ બજેટમાં સ્વૈચ્છિક ઘટાડો સુરક્ષાની કિંમત પર કરવામાં નહી આવે. અમે તમામ પ્રકારના ખતરાઓના જવાબમાં પ્રતિક્રિયા આપતા રહીશું. ત્રણેય સેવાઓ આંતરિક ઘટાડના પ્રભાવની વ્યવસ્થા કરશે. બલૂચિસ્તાનના વિકાસમાં ભાગીદારી  કરવી મહત્વપૂર્ણ છે.

પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને મંગળવારે કહ્યું કે, દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની સૈન્ય પોતાના સંરક્ષણ ખર્ચમાં ઘટાડો કરશે જે પ્રશંસાપાત્ર છે. ખાને કહ્યું કે તે આ પગલા માટે આભારી છે.