બ્રિટન યુરોપીયન સંઘમાંથી બહાર, PM બોરિસ જૉનસને સમજૂતી પર કર્યા હસ્તાક્ષર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jan 2020 08:37 PM (IST)
સમજૂતી પર હસ્તાક્ષર કરતા જૉનસને કહ્યું કે દેશ માટે આ શાનદાર ક્ષણ છે. 2016ના જનમત સંગ્રહનું પરિણામ આખરે લાગુ થવાનું છે.
નવી દિલ્હી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસને યુરોપીયન સંઘ(EU)માંથી અલગ થવાની સમજૂતી પર સહી કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, યુરોપીયન સંઘમાંથી અલગ થવાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સમજૂતી પર હસ્તાક્ષર કરતા જૉનસને કહ્યું કે દેશ માટે આ શાનદાર ક્ષણ છે. 2016ના જનમત સંગ્રહનું પરિણામ આખરે લાગુ થવાનું છે. જૉનસને કહ્યું કે, આશા છે કે બન્ને(યુકે અને ઈયૂ) વચ્ચે વર્ષોથી ચાલી રહેલા વિવાદનો અંત આવશે. સમજૂતી બાદ જોનસન સરકારે 31 જાન્યુઆરી સુધી બ્રેક્ઝિટ ડીલ પૂરી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા યુરોપીયન સંઘના નેતાઓેએ પણ બ્રિટનને બહાર કરવાના દસ્તાવેજો પર સહી કરી હતી. 31 જાન્યુઆરી બાદ 11 મહીનાનો ટ્રાન્ઝિશન પીરિયડ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન બ્રિટન યુરોપીય સંઘનું સભ્ય નહીં રહે, પરંતુ તેના નિયમોનું પાલન કરશે અને બજેટમાં યોગદાન આપશે. હસ્તાંતરણ અવધિ એટલા માટે રાખવામાં આવી છે કે બ્રિટન અને ઈયૂ વચ્ચે વેપાર ડીલ સહિત ભવિષ્યમાં સંબંધો પર વાત કરી શકે. બ્રિટિશ સંસદમાં યુરોપમાંથી અલગ થવાની સમજૂતી પર 29 જાન્યુઆરીના રોજ ચર્ચા અને વોટિંગ થશે. યુરોપની સંસદમાં પણ આ દિવસે જ યૂકેને બહાર કરવા પર વોટિંગ થશે. જો કે આ ઔપચારિકતા જ હશે કારણ કે યુરોપના મોટાભાગના નેતા બ્રિટનને યુરોપીયન સંઘમાંથી બહાર કરવા માટે રાજી થઈ ચુક્યા છે. બ્રિટનની પ્રજાએ 28 દેશોના યુરોપીયન સંઘમાંથી જૂન 2016માં છૂટા પડવા નો નિર્ણય લીધો હતો. તેના બાદ યૂરોપીય સંઘે યૂકેને અલગ થવા માટે 31 માર્ચ 2018 સુધીનો સમય આપ્યો હતો. જો કે, બ્રિટિશ સાંસદોએ યૂરોપમાંથી બહાર થવાના સરકારની શરતોને નામંજૂર કરી દીધી હતી.