Israel Prime Minister Benjamin Netanyahu : યુક્રેન યુદ્ધને લઈને દુનિયા ધીમે ધીમે બે ભાગમાં વહેંચાઈ રહી છે. એક તરફ એવા દેશો છે જે યુક્રેન પર રશિયન હુમલાની ઉગ્ર નિંદા કરી રહ્યા છે અને ઝેલેન્સકીને હથિયારો આપી રહ્યા છે. જ્યારે ભારત જેવા દેશો છે જેમણે રશિયન કાર્યવાહીની નિંદા નથી કરી પરંતુ વૈશ્વિક અને દ્વિપક્ષીય બેઠકોમાં પુતિનને ભારે સંભળાવ્યું પણ છે. પીએમ મોદીના નિવેદન 'આ યુગ યુદ્ધનો નથી'ની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ હતી. હવે ઈઝરાયેલમાં નવી સરકાર રચાઈ છે અને પીએમ મોદીના મિત્ર બેન્જામિન નેતન્યાહુ ફરી સત્તામાં આવ્યા છે. દક્ષિણપંથી નેતાન્યાહુ સત્તામાં આવ્યા બાદ હવે ઘણા વિશ્લેષકોનું માનવું છે કે, નેતાન્યાહુના નેતૃત્વમાં ઈઝરાયેલ રશિયા સાથે મિત્રતા મજબૂત બનાવી શકે છે. નેતાન્યાહુનું આ પગલુ અમેરિકા માટે સૌથી મોટા આંચકારૂપ સાબિત થઈ શકે છે. 


ઈઝરાયેલની વિદેશ નીતિમાં પરિવર્તનનો આ સંકેત 2 જાન્યુઆરીએ નવા વિદેશ મંત્રીના પ્રથમ જાહેર ભાષણમાં જોવા મળ્યો હતો. ઇઝરાયલના વિદેશ મંત્રી એલી કોહેને કહ્યું હતું કે, જ્યારે રશિયા અને યુક્રેનની વાત આવે ત્યારે નવી સરકાર વધુ કંઈ બોલવાથી બચશે. આમ તેમણે સંકેત આપ્યો કે નેતન્યાહૂ વહીવટીતંત્ર આ વિવાદમાં જાહેરમાં કોઈપણ સ્ટેન્ડ લેવાથી દૂર રહેશે. યુક્રેનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરતા પહેલા કોહેને તેના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવ સાથે વાતચીત કરી હતી.


રશિયાને વધુ સકારાત્મક સંકેતો આપતા નેતન્યાહુ 


નિષ્ણાતોનું કહેવું છે કે, ઈઝરાયેલના આ નિર્ણયથી યુક્રેનને લઈને તણાવ વધી શકે છે. બાર ઇલાન યુનિવર્સિટીના રાજકીય બાબતોના વડા જોનાથન રેઇનહોલ્ડે કહ્યું હતું કે, ઇઝરાયેલની નવી અને જૂની સરકારો વચ્ચેનો તફાવત એ છે કે નેતન્યાહૂના અગાઉની સરકાર 100 ટકા યુક્રેન તરફી વિચારધારામાં માનતી હતી. અગાઉની સરકાર રશિયાને સંપૂર્ણપણે અલગ પાડ્યા વિના યુક્રેનને મદદ કરવા માટે શક્ય તેટલું તમામ કરી રહી હતી. નેતન્યાહુ સરકાર વિચારધારાને લઈને બહુ ચિંતિત નથી.


અલજઝીરાના અહેવાલ મુજબ, ઈઝરાયેલની નવી સરકાર રશિયાને વધુ સકારાત્મક સંકેતો આપવા જઈ રહી છે. આ સાથે જ તે તેની લાંબા સમયથી ચાલતી વિદેશ નીતિ યથાવત રાખી રહી છે. રેઈનહોલ્ડે કહ્યું હતું કે, 'રશિયા અને યુક્રેનને લઈને ઈઝરાયેલના બે મુખ્ય રાષ્ટ્રીય સુરક્ષા હિત છે જેના પર દેશમાં સામાન્ય સર્વસંમતિ છે. પહેલું અમેરિકા સાથે સારા સંબંધો જાળવી રાખવાનું છે અને બીજું રશિયાનું માનવું છે કે ઈઝરાયેલને સીરિયાની અંદર ઈરાની સૈનિકો અને હથિયારોને લશ્કરી રીતે નિશાન બનાવવાની સ્વતંત્રતા છે. આ માટે ઇઝરાયેલ અને રશિયન દળો વચ્ચે સક્રિય સમન્વયની જરૂર પડશે જેથી બે સૈનિકો વચ્ચે કોઈ સંઘર્ષ ના સર્જાય.