નવી દિલ્હી: વિશ્વભરના દેશો હાલમાં કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યાં છે. દુનિયાભરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 40 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક બે લાખ 70 હજારને પાર પહોંચી ગયો છે. તેની વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર, IMF અને WHO આ ત્રણ સંસ્થાએ ચેતવણી આપી છે કે, મહામારીના કારણે ભૂખમરા અને આર્થિક મંદીનો માર પડશે.


વિશ્વ આરોગ્ય સંગઠન છેલ્લા લાંબા સમયથી કહી રહ્યું છે કે, કોરોના દુનિયા સામે સૌથી મોટો ખતરો છે. હવે સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગામે પણ કહી દીધું છે કે, દુનિયાના ગરીબ દેશો મહાભૂખમરાની આરે છે. આ સિવાય દુનિયાભર લોકો નોકરી ગુમાવી રહ્યાં છે. અમેરિકામાં ત્રણ કરોડ 30 લાખ નોકરીઓ ગઈ છે. ઈન્ટરનેશન મોનેટરી ફંડ (આઈએમએફ)એ પણ કહ્યું કે, 1930માં આવેલા સૌથી મોટા આર્થિક સંકટથી પણ મોટો ખતરો છે.

દુનિયા પર કોરોનાની મહામારીનો ટ્રિપલ એટેક

દુનિયા પર કોરોનાની મહામારીનો ટ્રિપલ એટેક કહેવામાં આવી રહ્યો છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે, તેનાથી ભૂખમરો વધશે અને WHO અનુસાર આ સૌથી મોટી મહામારી છે જેનાથી હજી વધારે મોત થઈ શકે છે. જ્યારે IMF પ્રમાણે કોવિડ-19ના કારણે વિશ્વભરના દેશોની ઈકોનોમી પર આર્થિક મંદીનો મોટો ફટકો પડશે.

દુનિયાના ગરીબ દેશોમાં કોરોના હજુ ત્રણથી છ મહિના બાદ પીક પર પહોંચશે. અનુમાન છે કે, તેના બાદ મહાભૂખમરીનો સમય શરૂ થશે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના કાર્યકારી નિદેશક ડેવિડ બિસ્લેએ કહ્યું કે, હવે આપણા પર મહામારીનો ડબલ માર પડવાનો છે. ભૂખમરીનો પ્રકોપ થવા જઈ રહ્યો છે. આપણે મહાભૂખમરીની કગાર પર છે.

સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર, દુનિયામાં 13 કરોડ 50 લાખ લોકો ભૂખમરીની કગાર પર છે. જેમાંથી 82 કરોડ એવા લોકો છે, જેઓ પેટભરીને ખાય નથી શકતા. પરંતુ હવે આ સંખ્યામાં હજુ વધી શકે છે કારણ કે કોરોનાના કારણે સમગ્ર દુનિયામાં સપ્લાઈ ચેન ઠપ થઈ ગઈ છે. જેની અસર ગરીબ દેશો પર પડશે.

દુનિયામાં એવા 37 દેશ છે જે, ભૂખમરાની કગાર પર છે. જે નવ દેશોને યૂએન એ સામેલ કર્યાં છે. તેમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે. યૂએને તેના માટે દુનિયાને 5000 કરોડ રૂપિયા ભેગા કરવાની અપીલ કરી છે.
IMF એ આશંકા વ્યક્ત કરી છે કે, 1930ની મંદી કરતા પણ મોટો આર્થિક ખતરો છે. આઈએમએફના એમડી ક્રિસ્ટાલીના જોર્જિવાએ કહ્યું કે, આ સમય ગ્રેટ ડિપ્રેશનની ભયાનક મંદી કરતા મોટો છે, કારણ કે તેમાં સ્વાસ્થ્ય સંકટ અને આર્થિક સંકટ જોડાઈ ગયું છે. એવા સમયે સરકારો ખર્ચો કરે છે. હવે તે કહી રહી છે કે, બહાર ન જાઓ, ખર્ચ ના કરો.

અર્થવ્યવસ્થાને થઈ રહેલા નુકસાનના ડરથી હવે સરકારો લોકડાઉનની શરતોમાં છૂટછાટ આપી રહી છે પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચેતવણી આપી રહ્યું છે કે, એવું કરવામાં આવશે તો કોરોના ફરી થઈ શકે છે અને લોકડાઉન બીજીવખત કરવું પડી શકે છે.