આજે રાજકોટથી નિકળશે મા ખોડલની શોભાયાત્રાઃ 21 મૂર્તિની શોભાયાત્રામાં 7000 બાઈક, 4000 કાર જોડાશે, લાખો શ્રધ્ધાળુ માનવસાંકળ રચશે
રાજકોટથી કાગવડના 40 કિલોમીટરના રસ્તા પર લાખો લોકોની માનવ સાંકળ રચાશે. શોભાયાત્રામાં વચ્ચેથી કોઈ વાહન સામેલ નહીં થઈ શકે. રાજકોટથી છેક કાગવડ સુધી બનાવાયેલી આ માનવ સાંકળ ખોડલધામ ખાતે શોભાયાત્રા પહોંચે પછી સમેટાશે. ખોડલધામ માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 50 બસ ફાળવાઈ છે.
રાજકોટઃ મંગળવારથી કાગવડમાં ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ચાર દિવસના મહોત્સવની શરૂઆત મંગળવારે સવારે નિકળનારી ભવ્ય શોભાયાત્રાથી થશે. રાજકોટથી 40 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે અને કાગવડ સુધી પહોંચશે એ સાથે જ આ મહોત્સવ શરૂ થશે.
બરાબર સવારે 6.30 સુધીમાં રાજકોટ, પડઘરી, ટંકારાના લેઉઆ પટેલ સમાજના સભ્યો એકઠા થઈ જશે અને મા ખોડલની આરતી કરાશે. એ પછી 7 વાગે શોભાયાત્રા પ્રસ્થાન કરશે. મા ખોડલની મુખ્ય મૂર્તિનાં રથ સાથે નાસિકના સાજીંદાઓ ઢોલ-તાસાના તાલે શોભાયાત્રા પ્રસ્થાન પામશે.
આ શોભાયાત્રામાં જોડાનારા તમામ લોકો પીળા રંગના સાફા પહેરીને આવશે તેથી અનોખો માહોલ સર્જાશે. 17મીએ વહેલી સવારે પાંચ વાગ્યાથી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે શોભાયાત્રાનાં વાહનો આવવા લાગશે. સાથે સાથે શ્રધ્ધાળુઓ પણ ઉમટવા માંડશે.
આ ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટેની શોભાયાત્રા મંગળવારે બપોર સુધીમાં કાગવડ ગામે પહોંચશે. ગામેગામથી આવેલી 21 મૂર્તિઓની આ શોભાયાત્રામાં લાખો શ્રધ્ધાળુઓ જોડાશે. 7 હજાર બાઈક, 4 હજાર કાર, 200 બસ, ફ્લોટ્સનો કાફલો આ શોભાયાત્રામાં જોડાશે.