નવી દિલ્હીઃ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બનવાની નજીક છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે શુક્રવારે રમાવા જઈ રહેલ મેચમાં બુમરાહ આ ઉપલબ્ધિ મેળવી શકે છે. બુમરાહ હાલમાં રવિચંદ્રન અશ્વિન અને યુજવેન્દ્ર ચહલની સાથે 52 વિકેટ લઈને સંયુક્ત રીતે પ્રથમ સ્થાન પર છે. બુમરાહે 44 મેચમાં 52 વિકેટ ઝડપી છે. ચહલે 36 અને અશ્વિને 46 મેચમાં આટલી વિકેટ ઝડપી છે.


જસપ્રિત બુમરાહ: 44 મેચ, 52 વિકેટ
યુઝવેન્દ્ર ચહલ: 36 મેચ, 52 વિકેટ
રવિચંદ્રન અશ્વિન: 46 મેચ, 52 વિકેટ
ભુવનેશ્વર કુમાર: 43 મેચ, 41 વિકેટ
કુલદીપ યાદવ: 21 મેચ, 39 વિકેટ

બુમરાહ લાંબા સમય પછી ઈજામાંથી બહાર આવ્યો છે. ઈજામાંથી બહાર આવ્યા બાદ ઇન્દોરમાં રમાયેલી બીજી ટી -20 મેચમાં બુમરાહે પ્રથમ મેચ રમી હતી. તેનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. તેણે ચાર ઓવરમાં 32 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

શુક્રવારે પુણેમાં ત્રીજી અને છેલ્લી ટી -20 મેચ શ્રીલંકા વિરૂદ્ધ રમાશે. ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ મેચ વરસાદ અને ભીની પીચને કારણે રદ કરવામાં આવી હતી, જ્યારે ઈન્દોરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે એકતરફી વિજય મેળવ્યો હતો અને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યાથી રમાશે.