નવી દિલ્હીઃ કોરોનાને મહામારી જાહેર કરવામાં આવ્યા બાદ તેની અસર રમત જગત પર પડી રહી છે. વિશ્વભરમાં અનેક સ્પોર્ટ્સ ઈવેન્ટ રદ્દ કરવામાં આવી ચુકી છે. ક્રિકેટનો મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ પણ 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે, જ્યારે ભારત-સાઉથ આફ્રિકા વન ડે સીરિઝ પણ રદ્દ કરી દેવામાં આવી છે. જે બાદ હવે ઘરેલુ ટુર્નામેન્ટ પણ અટકાવી દેવામાં આવી છે.


કોરોના વાયરસના કારણે શનિવારે બીસીસીઆઈએ તમામ ઘરેલુ મુકાબલા આગામી સૂચના ન મળે ત્યાં સુધી રદ્દ કરી રહ્યા છે. જેમાં રણજી ચેમ્પિયન સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે રમાનરો ઈરાની કપ પણ સામેલ છે. આ ઉપરાંત સીનિયર મહિલા વન ડે નોક આઉટ, વિજ્જી ટ્રોફી, સીનિયર મહિલા વન ડે ચેલેન્જર, મહિલા અંડર 10 વન ડે નોકઆઉટ, મહિલા અંડર 19 ટી 20 લીગ, સુપર લીગ અને નોકઆઉટ, મહિલા અંડર 19 ટી 20 ચેલેન્જર ટ્રોફી, મહિલા અંડર 23 નોકઆઉટ, મહિલા અંડર 23 વન ડે ચેલેન્જરના તમામ મુકાબાલ આગામી નોટિસ સુધી રોકી દેવામાં આવ્યા છે.



શનિવારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ મીટિંગમાં BCCIએ આઈપીએલ ટીમોના માલિકો સાથે મેચોની સંખ્યા ઘટાડવા પર ચર્ચા કરી છે. બીસીસીઆઈના સૂત્રએ બેઠક બાદ કહ્યું, ટીમ માલિકો અને બીસીસીઆઈ વચ્ચે બેઠક દરમિયાન છ થી સાત વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આઈપીએલ મેચમાં ઘટાડો કરવો પણ સામેલ હતો. ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થઈ ચુક્યા છે અને 80થી વધારે લોકોમાં ચેપ જોવા મળ્યો છે. જે બાદ સરકારે ભીડથી બચવા માટે સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ દર્શકો માટે બંધ કરવાનો આદેશ આપ્યો હતો.