મુંબઈઃ અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર ડિરેક્ટર સામે અભિયાન શરૂ કર્યું છે. તે ટ્વીટ કરીને અનેક ચોંકાવનારા દાવા કરી ફિલ્મ નિર્માતાને સતત તેના નિશાન પર લઈ રહી છે. હવે આ વિવાદમાં તેણે પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણનો પણ ઉલ્લેખ કર્યો છે. પાયલના જણાવ્યા અનુસાર, તેણે અનુરાગ સાથેના વિવાદ અંગે ઇરફાન પઠાણ સાથે વાત કરી હતી.


પાયલ ઘોષે સોશિયલ મીડિયા ઉપર કેટલાક ટ્વિટ કરીને ઈરફાન પઠાણ સાથે થયેલી પોતાની વાતચીત વિશે જણાવ્યું હતું. પાયલ ઘોષના કહેવા મુજબ તેણે બળાત્કારને લઈને ઈરફાન પઠાણ સાથે વાત નહોતી કરી. પરંતુ અનુરાગ કશ્યપ વિશે ઘણી બધી વાતો કરી હતી. તેણે ટ્વિટ કરીને લખ્યું છે કે, મેં ઈરફાન પઠાણ ને એ નહોતું જણાવ્યું કે અનુરાગ કશ્યપે મારી સાથે રેપ કર્યો. પરંતુ તેમની સાથે થયેલી મારી વાતચીત વિશે મેં ઈરફાન પઠાણને જણાવ્યું હતું. તેને બધો ખ્યાલ હતો. પરંતુ તે હજુ સુધી કંઈ બોલી નથી રહ્યો છે. જો કે તે મારો સારો મિત્ર હોવાનો દાવો કરે છે.




પાયલે પોતાના ટ્વિટમાં ભારપૂર્વક જણાવ્યું છે કે તેણે ઇરફાન પઠાણ સાથેની બળાત્કાર અંગે વાત કરી નથી. અન્ય એક ટ્વિટમાં તે લખે છે – ઇરફાન પઠાણને ટેગ કરવાથી એનો અર્થ એ નથી કે મને તેનામાં રસ છે, પરંતુ બળાત્કાર નહીં પણ મેં તેની સાથે બધું શેર કર્યું છે. મને ખાતરી છે કે તેઓએ જે કહ્યું તે બધું તેઓ કહેશે.


2014ની એક ઘટના યાદ કરતા પાયલે જણાવ્યું હતું કે, 2014માં હોળીના એક દિવસ પહેલા અનુરાગ કશ્યપે મને મેસેજ કર્યો હતો. તે ઈચ્છતો હતો કે હું તેની પાસે આવું. તે સમયે ઈરફાન મારા ઘરે જ હતો. તેની સામે જ મેસેજ આવ્યો હતો. પરંતુ મેં ઈરફાનને કહ્યું હતું કે હું વિનીત જૈનના ઘરે જઈ રહી છું. અનુરાગના ઘરે નહીં. આશા વ્યક્ત કરૂ છું કે આ ઘટના તેને યાદ હશે.


આ ટ્વીટ સિવાય પાયલ ઘોષે ઈરફાન પઠાણ તેની સાથે ક્યારેય ખોટું કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ઇનકાર કર્યો છે. સોશિયલ મીડિયા ઉપર પાયલ ઘોષનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં તે જણાવી રહી છે કે અનુરાગ કશ્યપે તેમની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી. તેણે કહ્યું કે તે ન્યાય માટેની લડાઈ શરૂ રાખશે.