નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને આવે એક વર્ષથી વધુનો સમય વીતી ચૂક્યો છે, છતાં મહામારી પોતાનો કેર વર્તાવવાનુ બંધ નથી કરી રહી. કૉવિડ -19ના કારણે ક્રિકેટને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. મોટા ભાગની સીરીઝો અને ટૂર્નામેન્ટો રદ્દ કરવી પડી છે. હવે આ લિસ્ટમાં વધુ એક ક્રિકેટ ટૂર્નામેન્ટનુ નામ ઉમેરાયુ છે. બાંગ્લાદેશની ટીમે કોરોનાના કારણે ન્યૂઝીલેન્ડ જવાનુ ટાળ્યુ છે.


બાંગ્લાદેશની ટીમ ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટ રમવા જવાની હતી, પરંતુ કોરોના કારણે સીરીઝને એક સપ્તાહ પાછી ઠેલવી પડી છે.

નવા કાર્યક્રમ અનુસાર, બાંગ્લાદેશની ટીમ પોતાના આ પ્રવાસમાં 20 માર્ચથી 1લી એપ્રિલની વચ્ચે ત્રણ વનડે મેચો અને ત્રણ ટી20 મેચો રમશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે એક નિવેદનમાં કહ્યું- આ પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કૉવિડ-19ના વર્તમાન પડકારો અને મહેમાન ટીમની તૈયારીઓના માટે પુરતો સમય આપવા માટે કરવામાં આવ્યો છે.

બાંગ્લાદેશનો પ્રવાસ હવે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમથી સાત દિવસ એટલે કે એક સપ્તાહ પછી શરૂ થશે. બાંગ્લાદેશની ટીમનો 2019 બાદ આ ન્યૂઝીલેન્ડનો પહેલો પ્રવાસ હશે. તે સમયે ક્રાઇસ્ટચર્ચમાં ત્રીજી ટેસ્ટ મેચથી એક દિવસ પહેલા મસ્જિદમાં હુમલા બાદ પ્રવાસ વચ્ચેથી જ રદ્દ કરવો પડ્યો હતો.

પ્રવાસની પહેલી વનડે ડ્યૂનેડિનમાં 20 માર્ચે રમાશે. આ પછી આગામી બે વનડે ક્રાઇસ્ટચર્ચ (23 માર્ચ) અને વેલિંગ્ટનમાં (26 માર્ચ) રમાશે. ટી20 આંતરરાષ્ટ્રીય મેચ હેમિલ્ટન (28 માર્ચ), નેપિયર (30 માર્ચ) અને ઓકલેન્ડમાં (1 એપ્રિલ) રમાશે.