મુંબઇઃ બીસીસીઆઇએ વન-ડે ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીને હટાવીને રોહિત શર્માને બનાવ્યો હતો. આ સાથે રોહિત શર્મા હવે વન-ડે અને ટી-20 ટીમનો કેપ્ટન રહેશે. જ્યારે વિરાટ કોહલી ટેસ્ટ ટીમનો કેપ્ટન યથાવત રહેશે.  એક રિપોર્ટ અનુસાર વિરાટ ODI ટીમની કેપ્ટનશીપ છોડવા માંગતો નહોતો. તે વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવા માંગતો હતો પરંતુ BCCIની યોજના અલગ હતી. અહેવાલો અનુસાર, BCCIએ વિરાટ કોહલીને કેપ્ટનશિપ છોડવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો પરંતુ તેણે કેપ્ટનશીપ છોડી નહોતી.






નોંધનીય છે કે ટી-20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી દીધી હતી. પીટીઆઇએ  પોતાના રિપોર્ટમા કહ્યું હતું કે કોહલીએ અગાઉ ટી-20માંથી કેપ્ટનશીપ છોડી દીધી હતી. એવામાં બીસીસીઆઇએ તેને વન-ડેની કેપ્ટનશીપ છોડવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. બીસીસીઆઇ સિલેક્શન કમિટીના વડાએ આ માટે કોહલીના રિસ્પોન્સની રાહ જોઇ હતી  પરંતુ  કોહલી તરફથી કોઇ જવાબ ના આવતા સિલેક્શન કમિટીએ નિર્ણય લીધો હતો અને રોહિત શર્માને વન-ડે ટીમનો કેપ્ટન બનાવી દીધો હતો.


બોર્ડે આ નિર્ણય 2023માં યોજાનારા વન-ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને લીધો છે. જોકે, આ મામલે હજુ સુધી વિરાટ કોહલીનું નિવેદન આવ્યું નથી. રિપોર્ટ અનુસાર કોહલી 2023  વર્લ્ડકપ સુધી કેપ્ટન રહેવા માંગતો હતો પરંતુ સિલેક્શન કમિટી તેને વધુ તક આપવા રાજી નહોતી.


વિરાટ કોહલી પાંચ વર્ષથી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો એવામાં સિલેક્શન કમિટી તેને સન્માનજક વિદાય આપવા માંગતી હતી. તેને તક પણ આપવામાં આવી પરંતુ તેણે કોઇ નિર્ણય ના લેતા સમિતિએ નિર્ણય લઇ વિરાટને હટાવી રોહિતને કેપ્ટન બનાવી દીધો હતો.