Team India Victory Parade: ટી20 વર્લ્ડકપ 2024ની વિજેતા ભારતીય ટીમ આજે સવારે જ બાર્બાડૉસથી નવી દિલ્હી પહોંચી હતી. જે બાદ ટીમને મૌર્ય હૉટલ લઈ જવામાં આવી હતી અને બપોરે તમામ ખેલાડીઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આખી ટીમ અને સપોર્ટ સ્ટાફે પીએમ મોદી સાથે નાસ્તો પણ કર્યો અને ફોટોશૂટ કરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ માટે રવાના થઈ ગઈ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ ભારતીય ટીમની વિજય પરેડ માટે તૈયારીઓ કરી લીધી છે, પરંતુ શું તમે જાણો છો કે વિજય પરેડ કેવી રીતે શરૂ થઈ અને ટીમ ઈન્ડિયાની પ્રથમ વિજય પરેડ ક્યારે થઈ?


ક્યાંથી શરૂ થઇ હતી વિક્ટ્રી પરેડની શરૂઆત ? 
'વિક્ટરી પરેડ'ની ઉત્પત્તિ પ્રાચીન રૉમમાંથી થઈ હતી. જ્યારે જૂના સમયના રાજાઓ યુદ્ધ જીતીને પાછા ફરતાં, ત્યારે વિજયની ઉજવણી કરવા માટે વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સવાલ એ છે કે યુદ્ધ અને રમતગમત વચ્ચે શું સંબંધ છે અને રમતગમતમાં વિજય પરેડનો ટ્રેન્ડ ક્યાંથી શરૂ થયો ? હકીકતમાં, અંગ્રેજી ભાષાના કવિ અને નવલકથાકાર જ્યૉર્જ ઓરવેલે યુદ્ધની સરખામણી રમત સાથે કરી હતી. ત્યારપછી તેનો ઉપયોગ સ્પૉર્ટ્સમાં પણ થયો જે સફળ પણ રહ્યો. ત્યારથી રમતગમતમાં પણ વિજય પરેડની પ્રથા ચાલી રહી છે.


2007 વર્લ્ડકપ જીત બાદ પણ થયો હતો જશ્ન - 
દક્ષિણ આફ્રિકામાં રમાયેલ 2007 ટી20 વર્લ્ડકપની ફાઈનલ કોઈ કેવી રીતે ભૂલી શકે, જ્યારે ભારતે પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું. એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતની યુવા ટીમે પાકિસ્તાનને હરાવીને ટી20 ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. આ ઐતિહાસિક જીત બાદ જ્યારે ભારતીય ટીમ મુંબઈ પરત ફરી ત્યારે વર્લ્ડકપ જીતવાની ઉજવણી કરવા માટે રૉડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે પણ વાનખેડે સ્ટેડિયમમાં જ સમગ્ર ટીમ ઈન્ડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ ખુલ્લી બસમાં મુસાફરી કરી રહ્યા હતાં અને ટીમના સમર્થનમાં હજારો ચાહકોની ભીડ રસ્તાઓ પર ઉમટી પડી હતી.