માનચેસ્ટરઃ વિશ્વભરમાં કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. કોરોના કાળમાં ઈન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત પહેલા ICC એ નવા નિયમ બનાવ્યા હતા. જેમાં એક નિયમ કોઈ પણ ખેલાડી બોલ ચમકાવવા લાળનો ઉપયોગ નહીં કરી શકે તેવો હતો.


આ નિયમ તોડવા પર ચેતવણી અને ફરી વાર કરવાથી હરિફ ટીમને પાંચ વધારાના રન આપવાની આઈસીસીએ જાહેરાત કરી હતી. માનચેસ્ટર ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડના બોલર ડોમ સિબ્લેએ બોલને ચમકાવવા લાળનો ઉપયોગ કર્યો હતો. જે બાદ એમ્પાયરોએ બોલને સેનિટાઇઝ કર્યો હતો. સિબ્લેએ તેની ભૂલ સ્વીકારી લીધી હતી.

સિબ્લે જ્યારે ફિલ્ડિંગ કરતો હતો ત્યારે તેણ બોલ પર લાળનો ઉપયોગ કર્યો હતો. જે બાદ એમ્પાયરે સેનેટાઇઝ ટિશ્યૂ લઈને બોલને સાફ કર્યો હતો. નવો નિયમ લાગુ થયા બાદ બોલ પર લાળનો ઉપયોગ કરવાનો આ પ્રથમ મામલો હતો.

આઈસીસીના નવા નિયમ પ્રમાણે હાલ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચનું આયોજન બાયો સિક્યોર વાતાવરણમાં થઈ રહ્યું છે. જેમાં બોલ ચમકાવવા માટે માત્ર પરસેવાનો જ ઉપયોગ કરી શકાય છે.