Asia Cup 2022: 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ પહેલા ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો નંબર વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. પીટીઆઈના અહેવાલ મુજબ જસપ્રીત બુમરાહ પીઠની ઈજાથી પીડાઈ રહ્યો છે. આ પહેલા જસપ્રીત બુમરાહને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી વન ડે અને ટી20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો હતો.


એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી પસંદગી થઈ નથી


એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી પસંદગી થઈ નથી. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત સોમવારે મોડી રાત સુધીમાં થઈ શકે છે. જોકે, એ સ્પષ્ટ થઈ ગયું છે કે જસપ્રીત બુમરાહ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. જસપ્રીત બુમરાહની ઈજા અંગે BCCI દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ જારી કરવામાં આવી નથી. જસપ્રીત બુમરાહ ક્યારે મેદાનમાં પરત ફરશે તે અંગે કંઈ કહી શકાય નહીં. પરંતુ આ સમયે જસપ્રિત બુમરાહની ઈજા ટીમ ઈન્ડિયા માટે ઘણી ચિંતાજનક છે.


જાણો બુમરાહ ભારત માટે કેમ છે હુકમનો એક્કો


જસપ્રીત બુમરાહ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો નંબર વન ફાસ્ટ બોલર છે. જસપ્રીત બુમરાહે જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. ઈંગ્લેન્ડ સામે રમાયેલી સીમિત ઓવરોની સીરીઝ દરમિયાન જસપ્રીત બુમરાહને પીઠનો દુખાવો થયો હતો. આ પછી જસપ્રીત બુમરાહને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ODI અને T20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો હતો.


જોકે, એવું માનવામાં આવી રહ્યું હતું કે જસપ્રીત બુમરાહની ઈજા એશિયા કપ સુધી ઠીક થઈ જશે. એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહની પસંદગી ફિક્સ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. હવે સંભવ છે કે જસપ્રીત બુમરાહ આવતા મહિને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરીઝ દ્વારા જ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. જસપ્રિત બુમરાહની રિકવરી ભારત માટે એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે.